24 May, 2026 11:49 AM IST | Mumbai | Laxmi Vanita
કેટલાક આધ્યાત્મિક અનુયાયીઓ માને છે કે બાબાજીએ ક્યારેક ભવિષ્યવાણી કરી હતી કે સાઇબીરિયામાં એક મહાન આધ્યાત્મિક કેન્દ્ર ઊભું થશે. આ મંદિર અને આશ્રમ એ બાબાજીનો છે.
સાઇબીરિયાના હિમાચ્છાદિત અને નિર્જન પ્રદેશમાં, જ્યાં શિયાળામાં તાપમાન અત્યંત નીચું ઊતરી જાય છે અને અનંત જંગલો દૂર સુધી ફેલાયેલાં દેખાય છે, ત્યાં એક એવું ગામ આવેલું છે જેની વાત સાંભળતાં જ અચંબો થાય. બરફથી ઢંકાયેલાં લાકડાનાં રશિયન ઘરો, ધીમે-ધીમે ધુમાડો છોડતી ચીમનીઓ અને આસપાસનું નિર્જન વાતાવરણ - આ બધાની વચ્ચે ક્યાંક સંસ્કૃતના મંત્રોચ્ચાર સંભળાય, દીવાલો પર ‘ઓમ’નું પ્રતીક દેખાય અને લોકો યોગ તથા ભક્તિગાન કરતા જોવા મળે. આ ગામ છે ઓકુનેવો. રશિયાના પશ્ચિમ સાઇબીરિયાના ઓમ્સ્ક પ્રદેશમાં આવેલું એક એવું અંતરિયાળ ગામ છે કે એને ઘણા પ્રવાસીઓના બ્લૉગ કે સોશ્યલ મીડિયા પોસ્ટ અને મીડિયા અહેવાલોમાં ‘સાઇબીરિયાનું હિન્દુ ગામ’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ કોઈ હિન્દુ ગામ નથી, પરંતુ શા માટે એને આવી રીતે ઓળખવામાં આવે છે એ બહુ રસપ્રદ છે.
ઓકુનેવોમાં શ્રીકૃષ્ણ મંદિર.
આધ્યાત્મિક પરંપરાનો પાયો
રશિયામાં હિન્દુ પરંપરાઓ અને આધ્યાત્મિક પરંપરાઓનો પાયો નંખાયો હતો ૧૯૯૦ના દાયકામાં. ઓકુનેવોને હિન્દુ ગામ કહેવાય છે એ સાંભળીને ઘણા લોકોને લાગે કે કદાચ આ કોઈ પ્રાચીન વૈદિક વસાહત હશે કે હજારો વર્ષ પહેલાં અહીં હિન્દુ સંસ્કૃતિનો કોઈ ગુમ થયેલો અધ્યાય છુપાયેલો હશે, પરંતુ હકીકત એવી નથી. ઓકુનેવો કોઈ પ્રાચીન હિન્દુ વસાહત નથી, ન તો એ કોઈ ભારતીય મૂળનું ગામ છે અને ન તો પુરાતત્ત્વશાસ્ત્રમાં એવી કોઈ માન્યતા છે કે અહીં ક્યારેક કોઈ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ વસતી હતી. ઓકુનેવોની સૌથી રસપ્રદ વાત એ છે કે એ એક આધુનિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે, જ્યાં રશિયન આધ્યાત્મિક શોધકોએ અને હિન્દુ-પ્રેરિત જૂથોએ એક સામાન્ય સાઇબીરિયન ગામને એક અનોખા તીર્થસ્થળમાં બદલી નાખ્યું છે. આ ગામનું આધ્યાત્મિક રૂપાંતરણ ખાસ કરીને ૧૯૯૦ના દાયકામાં સોવિયેટ યુનિયનના પતન પછી શરૂ થયું. સોવિયેત સંઘના સમયમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ હતું, પરંતુ રાજકીય પરિવર્તન પછી રશિયામાં આધ્યાત્મિક અને ધાર્મિક સ્વતંત્રતા વધી. આ સમયગાળામાં અનેક નવાં આધ્યાત્મિક આંદોલનો, યોગ, પૂર્વીય દર્શન અને વૈકલ્પિક ધાર્મિક જૂથો રશિયામાં ફેલાયાં. આવાં જ કેટલાંક આધ્યાત્મિક જૂથોએ ઓકુનેવોને એક વિશેષ ‘પ્લેસ ઑફ પાવર’ એટલે કે આધ્યાત્મિક ઊર્જા ધરાવતું સ્થળ તરીકે જોવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે અહીં હરે કૃષ્ણ પરંપરાના અનુયાયીઓ, બાબાજી-પ્રેરિત શૈવ પરંપરાના લોકો તેમ જ વિવિધ ન્યુ એજ અને આધ્યાત્મિક જૂથોએ આશ્રમો, ધ્યાનસ્થળો અને ધાર્મિક કેન્દ્રો સ્થાપવાનું શરૂ કર્યું. આ જગ્યા બનવા પાછળ અમુક દંતકથાઓ પણ પ્રચલિત થઈ.
આ ગામની રસપ્રદ દંતકથા
ઓકુનેવોમાં ઑર્થોડોક્સ ક્રિશ્ચિયન ચર્ચ.
ઓકુનેવો એક જ ધર્મનું ગામ નથી, પરંતુ એક અનોખું આધ્યાત્મિક સંગમ બની ગયું છે. અહીં હિન્દુ-પ્રેરિત ભક્તિ-પરંપરાઓ, રશિયન આધ્યાત્મિક માન્યતાઓ, નવા વિચારો, સ્થાનિક પવિત્ર ભૂમિ સંબંધિત દંતકથાઓ અને ઑર્થોડોક્સ ખ્રિસ્તી પરંપરાઓ એકસાથે જોવા મળે છે. એટલે કે ઓકુનેવો માત્ર હિન્દુ ગામ નથી, પરંતુ અનેક આધ્યાત્મિક પ્રવાહોનું મિલનસ્થળ છે. ઓકુનેવો સાથે જોડાયેલી સૌથી રસપ્રદ દંતકથાઓમાંની એક છે મહાવતાર બાબાજીની આગાહી. કેટલાક આધ્યાત્મિક અનુયાયીઓ માને છે કે બાબાજીએ ક્યારેક ભવિષ્યવાણી કરી હતી કે સાઇબીરિયામાં એક મહાન આધ્યાત્મિક કેન્દ્ર ઊભું થશે અને પછી તેમના અનુયાયીઓએ ઓકુનેવોને એ જ સ્થાન તરીકે ઓળખવાનું શરૂ કર્યું. શ્રદ્ધાળુઓ માટે આ માન્યતા ગામની પવિત્રતાનો મહત્ત્વનો ભાગ છે. જોકે ઇતિહાસકારો અને સંશોધકો આને ચકાસી શકાય એવી ઐતિહાસિક ઘટના તરીકે નહીં પરંતુ એક આધુનિક ધાર્મિક દંતકથા તરીકે જુએ છે જેણે ગામને તીર્થસ્થળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી. ઇન્ટરનેટ પર ઓકુનેવો વિશે ઘણી ચોંકાવનારી વાતો જોવા મળે છે. ક્યાંક એને ‘રશિયામાં છુપાયેલું પ્રાચીન હિન્દુ ગામ’ કહેવામાં આવે છે તો ક્યાંક સાઇબીરિયામાં વૈદિક સંસ્કૃતિના પુરાવા હોવાના દાવાઓ કરવામાં આવે છે. આવા દાવાઓને સમર્થન આપતું કોઈ માન્ય પુરાતત્ત્વીય કે ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. સંશોધકો સ્પષ્ટ રીતે કહે છે કે ઓકુનેવોની હિન્દુ ઓળખ આધુનિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું પરિણામ છે, પ્રાચીન ઇતિહાસનું નહીં.
ઓકુનેવોની બાબા યોગ ક્લબ.
કેમ છે આ અનોખું ગામ?
ઓકુનેવોને અનોખું બનાવે છે એનો દૃશ્ય વિરોધાભાસ. એક તરફ બરફથી ઢંકાયેલું રશિયન ગામ, હાડ થિજાવી દે એવો શિયાળો, આસપાસ ઘના જંગલો અને નિર્જનતા અને બીજી તરફ સંસ્કૃતના મંત્રોચ્ચાર, યોગ, ભક્તિગાન, મંદિરો જેવી રચનાઓ અને ભારતીય આધ્યાત્મિક પ્રતીકો. આ દૃશ્ય દુનિયાનાં બહુ ઓછાં સ્થળોએ જોવા મળે. કદાચ આ કારણસર એને ઘણી વાર ‘વિશ્વનું સૌથી ઠંડું હિન્દુ-પ્રેરિત આધ્યાત્મિક ગામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે ઓકુનેવોને માત્ર સાઇબીરિયાનું હિન્દુ ગામ કહીની એની ઓળખ સીમિત કરી દેવી યોગ્ય નથી. આ નામ લોકોનું ધ્યાન ખેંચે છે, પરંતુ ગામની સાચી જટિલતા બતાવતું નથી. ઓકુનેવો માત્ર હિન્દુ પ્રતીકો ધરાવતું ગામ નથી; એ સોવિયેટ પછીની આધ્યાત્મિક શોધ, પવિત્ર દંતકથાઓ, માનવીય વિશ્વાસ, પૂર્વ અને પશ્ચિમના આધ્યાત્મિક સંગમ અને પવિત્ર ભૂગોળ કેવી રીતે રચાય છે એની જીવંત કહાની છે. ઓકુનેવોનું સાચું રહસ્ય એ નથી કે અહીં ક્યારેય કોઈ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ હતી કે નહીં, કારણ કે એનો કોઈ પુરાવો નથી. સાચું રહસ્ય એ છે કે કેવી રીતે એક દૂરનું, સામાન્ય સાઇબીરિયન ગામ એવી જગ્યામાં બદલાઈ ગયું જ્યાં રશિયન લોકો બરફની વચ્ચે સંસ્કૃતના મંત્રોચ્ચાર કરે છે, યોગ કરે છે અને ભારત-પ્રેરિત આધ્યાત્મિક પરંપરાઓને જીવે છે. કદાચ એ જ કારણ છે કે ઓકુનેવો આજે પણ દુનિયાભરના લોકો માટે આશ્ચર્ય અને રહસ્યનું કેન્દ્ર બની રહ્યું છે.
રશિયામાં રથયાત્રા જેવા પ્રસંગની ઉજવણી
ભારતીયોને પણ શા માટે નવાઈ લાગે છે આ રહસ્યમય કેન્દ્રની? કારણ કે અહીં હિન્દુ-પ્રેરિત તહેવારોની ઉજવણી ભારતીય પરંપરાથી પ્રેરિત છે. વાત કરીએ અહીંની જાણીતી રથયાત્રાની. ઓકુનેવોની રથયાત્રા માટે પુરી જેવી સદીઓ જૂની નિશ્ચિત પરંપરાગત તારીખ અથવા સમય નક્કી થયાં નથી. અહીંનો ઉત્સવ સામાન્ય રીતે સ્થાનિક હરે કૃષ્ણ - ISKCON ભક્તો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાના સમયગાળા આસપાસ એટલે કે અષાઢ માસ દરમ્યાન (જૂન–જુલાઈ) ઊજવવામાં આવે છે, કારણ કે એ જ સમય ભારતમાં પુરીની રથયાત્રાનો મુખ્ય સમય હોય છે. જોકે એક વાત ખાસ સમજવી જરૂરી છે કે ઓકુનેવોમાં આ સ્થાનિક સ્તરની ઉજવણી છે એટલે દર વર્ષે ચોક્કસ તારીખ, સમય અને કાર્યક્રમ સ્થાનિક ભક્ત સમુદાય અને આયોજકો પર આધારિત હોય છે. એટલે ભારતની જેમ નક્કી દિવસે વિશાળ રથયાત્રા થાય એવી સ્થિર જાહેર પરંપરા અહીં જોવા મળતી નથી. અહીં ઉનાળામાં સ્થાનિક કૃષ્ણભક્તો અને મુલાકાતે આવતા યાત્રાળુઓ મળીને જગન્નાથ રથયાત્રાની પરંપરાને રશિયન ભૂમિ પર ઊજવે છે. પુરીની પ્રસિદ્ધ રથયાત્રાની જેમ અહીં પણ ભગવાન જગન્નાથની ભક્તિ કેન્દ્રસ્થાને રહે છે જેમાં ભક્તિગીતો, કીર્તન, ભજનો, નૃત્યમય શોભાયાત્રા, પૂજા અને સામૂહિક આધ્યાત્મિક મેળાવડાનો સમાવેશ થાય છે. ઓકુનેવોમાં આ બધું ભારતીય મંદિરનગરોની ભીડભાડવાળી ગલીઓમાં નહીં પરંતુ સાઇબીરિયાનાં જંગલો અને રશિયન ગામડાંના અનોખા વાતાવરણમાં થાય છે જે આ ઉત્સવને વિશેષ બનાવે છે. ઓકુનેવો રથયાત્રાની સૌથી રસપ્રદ વાત એ છે કે એ એક અદ્ભુત વિરોધાભાસ ઊભો કરે છે. એક તરફ ઓડિશાના પુરીમાં ગરમ વાતાવરણ, લાખો લોકોની ભીડ અને વિશાળ રથો સાથે ઊજવાતી રથયાત્રાની કલ્પના આવે છે જ્યારે બીજી તરફ ઓકુનેવોમાં આ ઉત્સવ પશ્ચિમ સાઇબીરિયાનાં જંગલો અને ઠંડા ઉત્તરીય વાતાવરણ વચ્ચે ઊજવાય છે. બર્ફીલા અને ઠંડા પ્રદેશમાં રશિયન ભક્તો ‘હરે કૃષ્ણ’ના મંત્રોચ્ચાર સાથે કીર્તન કરતા, ભજન ગાતા અને જગન્નાથ ભક્તિની પરંપરાઓ ઊજવતા જોવા મળે છે. આ દૃશ્ય જ આ ઉત્સવને વિશ્વમાં અનોખો બનાવે છે.
તારા નદીને કિનારે વસેલી રશિયાના સાઇબીરિયાની રાજધાની ઓમ્સ્કથી અંદાજે ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલું ઓકુનેવો ગામ ગાઢ જંગલ અને પહાડીઓથી ઘેરાયેલું છે. ગામ બહુ જ નાનું છે પરંતુ દર વર્ષે હજારો યાત્રીઓ અહીં ભેગા થાય છે. હિન્દુ-પ્રેરિત રથયાત્રા જેવા પ્રસંગો અહીં ધામધૂમથી ઊજવાય છે. શિયાળામાં અહીં પહોંચવું પડકારજનક થઈ શકે, કારણ કે અતિશય ઠંડીને કારણે ટ્રાન્સપોર્ટેશન મર્યાદિત હોય છે.