બુદ્ધિના સાચા ઉપયોગ માટે બુધ કેમ મજબૂત બનાવવો?

20 November, 2022 01:01 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

બુદ્ધિનો કારક ગ્રહ બુધ છે. જો બુધને પ્રબળ બનાવવામાં આવે તો બુદ્ધિ સાચી દિશામાં કામ કરે અને તકને ઓળખવાની ક્ષમતા પણ કેળવે, પણ એ માટે કરવું શું એ જાણવું બહુ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

તક આંગણે આવીને ઊભી રહે ત્યારે મોઢું ધોવા ન જવાનું હોય.

આ કે આ પ્રકારનું વાક્ય વારંવાર સાંભળ્યું હશે, પણ મહત્ત્વનું એ છે કે માણસ તક જતી કેવી રીતે કરી દેતો હોય છે. તક જતી કરાવવાનું કામ જન્મકુંડળીમાં રહેલો નબળો બુધ કરાવે છે. ધારો કે જન્મકુંડળીમાં રહેલો બુધ પ્રબળ હોય તો પણ આવી ભૂલ થઈ શકે છે અને એનું કારણ છે બુધ પાણીકારક ગ્રહ છે. એ બીજા ગ્રહોની સોબતમાં તરત જ આવી જાય છે અને એટલે બુધને સતત પ્રબળ રાખવો અત્યંત આવશ્યક છે અને એ કરવા માટે શું-શું તથા કેવાં-કેવાં પગલાં લેવા એ જાણવું બહુ જરૂરી છે.

બુધને પ્રબળ બનાવવા માટેના કેટલાક સરળ રસ્તાઓ હાથવગા છે, જેનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરવાથી બુધ સદાય સતેજ રહે છે. જન્મકુંડળીના બુધ અને ગુરુ બે ગ્રહ એવા છે કે એ ગમે એટલા સતેજ કે પ્રબળ બને તો પણ નુકસાનકર્તા નથી. અન્ય ગ્રહોને પ્રબળ કરવાથી આડઅસર આવી શકે છે, પણ આ બન્ને ગ્રહોને પ્રબળ કરવામાં કોઈ જાતનો મનમાં સંશય રાખવો નહીં.

૧. બુધનો મૂળભૂત રંગ ગ્રીન છે, બુધને મજબૂત કરવા ગ્રીન રંગનો ઉપયોગ મહત્તમ કરો. જો દરરોજ ગ્રીન વસ્ત્ર પહેરી શકાય તો ઉત્તમ. ગ્રીન સાથે જો વાઇટ રંગનું કૉમ્બિનેશન માફક આવી જાય તો બુધ અને શુક્ર બન્ને ગ્રહોમાં પ્રબળતા વધે છે, જે ક્યાંક અને ક્યાંક બૌદ્ધિકતા સાથે ખ્યાતિ આપવાનું કામ કરે છે.

૨. બુધને સતેજ બનાવવા માટે મગ નિયમિત રીતે ખાવા જોઈએ. જો સવારના પહેલો ખોરાક મગનો હોય અને દિવસનો અંતિમ ખોરાક પણ મગ હોય તો એનું પરિણામ આરોગ્યની દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ આવે છે તો જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ એ ઉત્તમ પરિણામકારક બને છે. ગ્રીન વેજિટેબલ્સ ખાવાથી પણ બુધને પોષણ મળે છે તો સવારના સમયે ઘાસ પર ઉઘાડા પગે ચાલવું પણ ચાર કૅરૅટ જેટલા પન્નાનો નંગ પહેરવા જેવું સઘન પરિણામ આપે છે.

૩. ચૅરિટી એટલે કે દાન બુધને અત્યંત પ્રિય છે, માટે નિયમિત રીતે ચૅરિટી કરતા રહો. હાથ લંબાવનારાનો હાથ ખાલી પાછો ન ફરે એનું ખાસ ધ્યાન રાખો અને એ માટે યથાશક્તિ છૂટા પૈસા ખિસ્સામાં રાખો જ રાખો. બાળકો પણ બુધને બહુ પ્રિય છે માટે બાળકોને જેટલાં ખુશ રાખી શકો એટલાં ખુશ રાખવાનાં પગલાં લો. બહાર જમવા ગયા હો એવા સમયે બાળ-ભિક્ષુકને ભિક્ષા આપવાને બદલે તેમને એવી ખાવાની ચીજ લઈ આપો જે તેમના માટે સપના સમાન હોય.

columnists life and style astrology