23 February, 2026 06:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હોળી- ધુળેટી (ફાઈલ તસવીર)
ફાગણ માસ શરૂ થતાં જ હવે હોળી-ધુળેટીની આતુરતા વધી ગઈ છે. પરંતુ હોળી પહેલાં આવતા આઠ દિવસ ‘હોળાષ્ટક’ તરીકે ઓળખાય છે અને શાસ્ત્રોમાં આ સમયગાળાને લઈને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, આ વર્ષે 24 ફેબ્રુઆરી, મંગળવારથી હોળાષ્ટકનો પ્રારંભ થશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ ‘હોળા + અષ્ટક’ એટલે હોળીના આઠ દિવસ. આ સમયગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિ ઉગ્ર ગણાય છે. માન્યતા છે કે આવા સમયમાં લગ્ન, ગૃહપ્રવેશ, વાસ્તુ સંબંધિત કામો અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવાથી તેમાં વિઘ્નો આવી શકે છે. એટલે જ આ દિવસોમાં શુભ કાર્યો પર વિરામ રાખવામાં આવે છે.
મેષ (અ, લ, ઈ):
જમીન-મિલકતના કામમાં અટકાવ આવી શકે. પરિવાર સાથે મતભેદ અને પેટ સંબંધિત તકલીફથી સાવચેત રહેવું.
કર્ક (ડ, હ):
સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. કરિયર સંબંધિત મોટા નિર્ણયો હાલ માટે મુલતવી રાખવા. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.
સિંહ (મ, ટ):
કાર્યસ્થળે કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. બિનજરૂરી ખર્ચ વધે તેવી શક્યતા.
વૃશ્ચિક (ન, ય):
માનસિક તાણ અને નાણાકીય દબાણ અનુભવાઈ શકે. સંબંધોમાં અંતર ન આવે તેનું ધ્યાન રાખવું.
કુંભ (ગ, સ, શ, ષ):
રોકાણ અથવા ઉધાર આપવાનું ટાળવું. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી.
મીન (દ, ચ, ઝ, થ):
નોકરી-ધંધામાં અવરોધ આવી શકે. સંબંધોમાં ત્રીજી વ્યક્તિને કારણે ગેરસમજ ઊભી થઈ શકે.
આ વર્ષે હોળાષ્ટક અને હોળી પ્રાગટ્ય દરમિયાન ગ્રહોની સ્થિતિ સાથે ‘ભદ્રા’ નક્ષત્રનું યોગ બનતા ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યોતિષીય ગણતરી મુજબ 2 માર્ચ, 2026ના રોજ હોળી પ્રાગટ્ય થશે અને 3 માર્ચે ધુળેટી ઉજવાશે. નોંધનીય છે કે આ જ દિવસે ભારતમાં ચંદ્રગ્રહણ પણ દેખાશે.
શાસ્ત્રો અનુસાર પૂનમની તિથિ અને ભદ્રા રહિત સમય હોળી પ્રાગટ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. તેથી હોળિકા દહન માટે મુહૂર્ત જોવામાં આવે છે.
3 માર્ચ, 2026ના રોજ ધુળેટી સાથે ચંદ્રગ્રહણનો યોગ બની રહ્યો છે. આ ખગોળીય ઘટનાને કારણે ધાર્મિક નિયમો અને સુતક સંબંધિત માન્યતાઓનું પાલન કરવામાં આવી શકે છે.
હોળાષ્ટક પાછળ ભક્ત પ્રહલાદની કથા જોડાયેલી છે. દૈત્યરાજ હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને વિષ્ણુ ભક્તિ બદલ ત્રાસ આપ્યો હતો. કહેવાય છે કે હોળી પહેલાંના આઠ દિવસ પ્રહલાદે ભારે યાતનાઓ સહન કરી હતી. તેથી આ દિવસોને સંયમ અને સાવચેતીના દિવસો માનવામાં આવે છે. પૂનમના દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ પ્રહલાદનો બચાવ થયો અને હોલિકાદહન થયું. આથી જ હોળી પહેલાંના દિવસોમાં ભક્તિ અને આત્મચિંતન પર ભાર મૂકવામાં આવે છે અને માંગલિક કાર્યો ટાળવા સૂચવવામાં આવે છે.