જુલાઈમાં બે ગ્રહણ : શું થશે એની ૧૨ રાશિઓ પર અસર?

01 July, 2019 11:15 AM IST  |  | આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

જુલાઈમાં બે ગ્રહણ : શું થશે એની ૧૨ રાશિઓ પર અસર?

આવનારા સમય તા. ૧-૭-’૧૯થી ૧-૮-’૧૯ સુધીના સમયગાળામાં ગ્રહોની ચાલ ખૂબ જ અગત્યની છે. આ સમયગાળામાં તા. ૨-૭-’૧૯ના દિવસે મિથુન રાશિમાં સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહીં અને બીજું ૧૬/૧૭-૭-’૧૯ની રાતે ધન રાશિમાં ચંદ્રગ્રહણ થશે જે ભારતમાં દેખાશે. આ બે ગ્રહણની સારી, ખરાબ અસરો દેશ-દુનિયામાં તેમ જ ૧૨ રાશિઓનાં જાતકો પર પડશે. સાથે તા. ૭-૭-’૧૯ના દિવસે બુધ કર્ક રાશિમાં વક્રી થઈને બેસશે. આ વક્રી બુધની યુતિ નીચના મંગળ સાથે થવાને કારણે આર્થિક ક્ષેત્રમાં, વેપાર વાણિજ્ય, જમીન, મકાન બાંધકામ ક્ષેત્રે, સલાહકાર ક્ષેત્રે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે સૂર્યનું મિથુન અને કર્ક રાશિમાં ભ્રમણ એકંદરે શુક્ર-રાહુ સાથે તેમ જ મંગળ-બુધ સાથેની યુતિ સરકારની નીતિઓના કારણે ઊથલપાથલ થાય. સૂર્યગ્રહણ જે ભારતમાં દેખાવાનું નથી છતાં એની પ્રત્યાઘાતી અસર આપણા દેશમાં દેખાય. બીજા દેશોની આર્થિક તકલીફોની અસરો થાય. પછી તરત જ ૧૬/૧૭-૦૭-’૧૯ની રાતે ધન રાશિમાં થનારું ચંદ્રગ્રહણ ઉચાટ, ઉદ્વેગ, નિર્ણય, શક્તિનો અભાવ, ભવિષ્યની ચિંતાઓ કરાવે, મરણતુલ્ય કરી દે. દેશ દુનિયામાં હિંસા, સામાજિક આર્થિક અથડામણો, ધર્મ જાતિના 

વિવાદો ઊભા કરાવે. સ્વાર્થવૃત્તિને કારણે વેરઝેર કરાવે.

આપણા દેશમાં કાશ્મીર, રામમંદિર જેવા પ્રશ્નો ઊભા થાય. હાલમાં પશ્ચિમ બંગાળમાં જે થઈ રહ્યું છે એમાં હિંસા વધે. રાજ્ય સરકારમાં સત્તાપરિવર્તન આવે. સરકારની નીતિઓમાં મોટા સુધારા જોવા મળે. ઘણી જગ્યાએ વધુપડતો વરસાદ, વાવાઝોડું જોવા મળે. નાના-મોટા ભૂકંપના આંચકા આવવાની શક્યતા રહેલી છે.

આ સમય દરમ્યાન વૃષભ, કન્યા, ધન અને મકર રાશિનાં જાતકોએ એ સમય ખૂબ જ શાંતિથી પસાર કરવો. નવાં પ્લાનિંગ કરવાં નહીં. નવું મકાન, ઑફિસ લેવાં નહીં. ટૂકમાં, નવું કશું કરવું નહીં. આ સમય મૂંઝવણવાળો અને દિશાવિહીન લાગે. આ સમય દરમ્યાન પોતાના ઇષ્ટદેવતાનું નામ જપવું, પોતાનાં કુળદેવીની ઉપાસના કરવી. શક્ય હોય તો જન્મકુંડળી અનુસાર દશા અંતર દશાના અધિપતિનો યોગ્ય ઉપાય કરવો હિતાવહ છે.

આ સમય દરમ્યાન સૂર્ય-રાહુ-શુક્રની યુતિ સામે શનિ-કેતુની યુતિ તેમ જ પરસ્પર દૃષ્ટિ વારંવાર બુદ્ધિ બગાડે, સમજફેર કરે, ભવિષ્યનાં મોટાં પ્લાનિંગ કરવાનો યોગ્ય સમય નથી. હા તક મળે તો ચોક્કસ ફાયદો લેવાય, પણ ફાયદો લેવા માટેના પ્રયત્ન કરવા નહીં.

મધ્યમવર્ગના લોકો માટે સમય ઉત્તમ છે. તમારે પૈસાની બચત થશે. ધીરજથી આગળ વધવાનો અભિગમ ફાયદો કરાવશે. લાલચમાં આવવું નહીં. જે લોકો ખૂબ જ નુકસાનમાં છે, બધા રસ્તાઓ બંધ થયેલા લાગતા હોય તેવા લોકોએ ડર્યા વગર પોતાની આવડત પર ભરોસો રાખી તમારી યોગ્યતા અનુસાર સાહસ કરવું. અચૂક ફાયદો થશે. કાલ ભૈરવની ઉપાસના ફાયદાકારક રહે.

જે લોકો જમીન-મકાનના વ્યવસાય સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આ સમય યોગ્ય નથી. નવાં કામકાજ કરવાં નહીં. જૂના કામકાજમાં અટપટી, આંટીઘૂંટીવાળી જમીનનાં કામકાજ થાય. આ સમયમાં ફસાયેલા લોકોને છૂટવાની તક મળશે, પણ જો એમાં લાલચ કે લોભ કરવા જશો તો પછી તક જતી રહેશે. માટે સમયને માન આપવું તો આગળ સમય તમને માન આપશે.

જે લોકોને બૅન્કોનું કર્જ છે તે લોકોએ સાવધાન રહેવું. તમારી કંપની કે તમારું ક્રેડિટ-રેટિંગ બગડવાની શક્યતા છે. માટે આ સમય દરમ્યાન કોઈ કમિટમેન્ટ આપવાં નહીં અને શક્ય હોય તો
એક મહિનો હવાફેર કરવી. ટૂંકમાં નિષ્ક્રિય રહેવું.

વિદ્યાર્થીઓ માટે સમય અટપટો છે. તા. ૧૭-૭-’૧૯ પછી સુધારો થાય. રિસર્ચ ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળે.

શૅરબજાર સાથે સંકળાયેલા લોકોએ લોભ-લાલચમાં આવીને મોટા સટ્ટા કરવા નહીં. બજાર બે બાજુ રહે. તા. ૭-૭-’૧૯ પછી બજાર પોતાની ચાલ જે ચાલતી હોય એનાથી ઊંધી કરે અને ઉતાર-ચડાવ કરે. બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ ખોટા પડે માટે ફાયદો થાય તો લઈ લેવો અને ફરીથી મોકો મળે તો વધારે કામ કરવું.

નોંધ : ૭-૭-’૧૯ પહેલાં માર્કેટ ટૉપ બનાવે. ૮ તારીખ આસપાસ માર્કેટ ટૉપની નીચે કામકાજ કરે તો આખો મહિનો વધ-ઘટે મંદી રહે અને જો તા. ૭-૭-’૧૯ પહેલાં માર્કેટ નીચેથી ઉપર આવે તો માર્કેટ વધ-ઘટે તેજી થાય. આ મહિને દરેક રીતે ધ્યાન રાખવું.

સોચ કો બદલો તો સિતારેં બદલ જાયેંગે
નજર કો બદલો નજારે બદલ જાયેંગે
કસ્તિયાં બદલને કી જરૂરત નહીં હૈ
દિશા કો બદલો તો કિનારે બદલ જાયેંગે

life and style astrology