25 June, 2021 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનિલ ગ્રોવર
સુનીલ ગ્રોવરનું કહેવું છે કે તેને એક ઍક્ટર તરીકે અન્યની વિચારધારા પ્રમાણે કામ કરવાનું પસંદ છે. તેની હાલમાં જ ક્રાઇમ-કૉમેડી સિરીઝ ‘સનફ્લાવર’ રિલીઝ થઈ છે. એમાં તે અલગ અવતારમાં જોવા મળ્યો છે. તે કૉમેડી માટે વધુ જાણીતો છે. જોકે ‘તાંડવ’માં તેના નૅગેટિવ રોલને પણ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. પોતાને જે રોલ્સ ઑફર કરવામાં આવે છે એ વિશે સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ‘મેકર્સના હાથમાં બધી બાબત હોય છે કે તે કયો રોલ ઑફર કરે છે. હું કૉમેડિયન તરીકે જાણીતો છું અને લોકો ઘણા સમયથી મારી કૉમેડીને એન્જૉય કરતા આવ્યા છે. મને ‘તાંડવ’માં નેગેટિવ રોલ ઑફર કરવામાં આવ્યો હતો અને એનું શ્રેય જાય છે સિરીઝના ક્રીએટર અલી અબ્બાસ ઝફરને. તેમણે મારી અલગ જ કલ્પના કરી અને મારે તો માત્ર ઍક્ટ કરવાનું હતું. એ રોલ કરતી વખતે હું નર્વસ હતો. જોકે લોકોએ મારા એ રોલની ખૂબ પ્રશંસા કરી હતી. હવે ‘સનફ્લાવર’માં પણ મારો રોલ અનોખો છે. એમાં ખૂબ નિર્દોષતા સમાયેલી છે. એક કલાકાર તરીકે મને હંમેશાં અલગ-અલગ રોલ્સ ભજવવા ગમે છે. અલગ-અલગ રોલ્સ કરવાથી હું ઉત્સાહિત થાઉં છું. હું મારી જાત સાથે કમ્ફર્ટેબલ નથી રહી શકતો. એથી કોઈ અન્યની વિચારધારામાં પ્રવેશ કરવો અને તેની લાઇફ જીવવી ગમે છે. એક ઍક્ટર તરીકે તમારામાં લાલસા હોય છે, એને તમે એન્જૉય કરો છો. મને એ ખૂબ ગમે છે.’