22 January, 2020 06:29 PM IST | મુંબઈ
સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન
પહેલી વાત, ઇરોઝ અને સંજય લીલા ભણસાલીના ઘનિષ્ઠ સંબંધ છે. ઇરોઝને ભણસાલીનું કામ અત્યંત ગમે છે એ પણ જગજાહેર છે. બન્નેએ સાથે ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ બનાવી પણ ખરી અને ‘પદ્માવત’ માટે મામૂલી એવી શરતને કારણે બન્ને છૂટા પડી ગયા એ પણ જગજાહેર છે, પરંતુ હવે ઇરોઝે સંજય ભણસાલીને ઑફર આપી છે કે જો તેઓ ‘ઇન્શાલ્લાહ’ ડિજિટલ પ્લૅટફૉર્મ માટે બનાવવા માગતા હોય તો ઇરોઝ ઇન્ટરનૅશનલના ઇરોઝ નાઉ પ્લૅટફૉર્મ માટે એ તૈયાર છે.
સલમાન ખાન અને આલિયા ભટ્ટને લઈને સંજય ભણસાલીએ ‘ઇન્શાલ્લાહ’ અનાઉન્સ કરી હતી અને એનું શૂટિંગ પણ ગણતરીના મહિનાઓમાં શરૂ થવાનું હતું, પણ અમુક કારણસર ફિલ્મ બંધ થઈ ગઈ અને એની સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ. હિન્દુ-મુસ્લિમ લવ-સ્ટોરી એવી ‘ઇન્શાલ્લાહ’ જો સંજય ભણસાલી હજી પણ બનાવવા માગતા હોય અને એને વેબ-સિરીઝમાં કન્વર્ટ કરવા તૈયાર હોય તો ઇરોઝ નાઉ એ પ્રોડ્યુસ કરવા તૈયાર છે. અલબત્ત, બૉલ હવે ભણસાલીની કોર્ટમાં છે અને નિર્ણય ભણસાલીએ લેવાનો છે કે તેઓ નવી ફિલ્મની બધી તૈયારીઓ પહેલેથી કરવાને બદલે વચ્ચે આ વેબ-સિરીઝ માટે તૈયાર છે કે નહીં?