23 August, 2020 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
'મિર્ઝાપુર 2'
'મિર્ઝાપુર' જે ઓટીટી પ્લેટફોર્મની એ સીરીઝ, જેની ચર્ચા છેલ્લા બે વર્ષમાં સૌથી વધારે થઈ છે. 'મિર્ઝાપુર' ફરી એકવાર ચર્ચામાં છે. સીરીઝની બીજી સીઝન 2020માં આવવાની છે. પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ઉર્ફે કાલિન ભૈયાના અવાજમાં પહેલો ડાયલોગ, જો આયા હૈ વો જાએગા ભી, બસ મર્જી હમારી હોગી... આની સાથે જ મિર્ઝાપુર સીઝન -2 (Mirzapur 2) ચર્ચામાં છે. એમેઝોન પ્રાઇમની આ વેબ-સીરીઝના બીજી સીઝનની આતુરતાથી રાહ જોતા પ્રેક્ષકો માટે એક સારા સમાચાર છે. આ સીરીઝના બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.
'મિર્ઝાપુર સીઝન -2' નું ટીઝર જોયા બાદથી પ્રેક્ષકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો મુજબ, મિર્ઝાપુર સીઝન 2 ની રિલીઝને લીલીઝંડી મળી છે. ડબિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. પણ મિર્ઝાપુરના ચાહકો માટે મોટો સવાલ એ છે કે બીજી સીઝન ક્યારે રિલીઝ થશે. ઇન્ટરનેટની દુનિયામાં બિનોદની સાથે, જ્યારે મિર્ઝાપુરની બીજી સીઝન આવી રહી છે ત્યારે આ સવાલ દરેક કમેન્ટ બૉક્સમાં પણ જોવા મળશે. આવી સ્થિતિમાં, એમેઝોન પ્રાઇમ વીડિયોએ ઑનલાઇન એક ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ઈવેન્ટ એ ફૅન્સ માટે છે, જે સતત સીઝનને લઈને સતત સવાલ પૂછી રહ્યા હતા. આ સવાલ પૂછવાની આ છેલ્લી તક છે. 22 ઑગસ્ટથી ચાલનારી આ ઈવેન્ટ 24 ઑગસ્ટે 12 વાગ્યા સુધી ચાલશે. સાથે એવું પણ થઈ શકે છે કે 24 ઑગસ્ટે મિર્ઝાપુરની રિલીઝ ડેટ વિશે માહિતી આપવામાં આવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, લાંબા સમય પછી ટ્વિટર પર મિર્ઝાપુરનું ઑફિશિયલ પેજ પણ સક્રિય થઈ ગયું છે. જેના પગલે લોકો અવારનવાર ટ્વિટ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે એમએક્સ પ્લેયરની અપકમિંગ વેબ-સીરીઝ આશ્રમને લઈને પણ કઈક આવી જ સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી. બૉબી દેઓલ સ્ટારર એમએક્સ પ્લેયરની વેબ-સીરીઝ આશ્રમના ટ્રેલર રિલીઝ પહેલા લગભગ 24 કલાક એક લાઈવ સેશન રાખવામાં આવ્યું હતું. એમા પણ હિન્ટ આપવામાં આવી હતી કે ટ્રેલર લૉન્ચ જેવું કંઈક હોઈ શકે છે. જો કે, મિર્ઝાપુરના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આની પહેલા પીપિંગમૂને પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે મિર્ઝાપુરને 2 સપ્ટેમ્બરના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવી શકે છે. આ સાથે જ એ વિશે પણ કહેવામાં આવ્યું હતું કે વેબ-સીરીઝની રિલીઝ ડેટના વિશે ઑગસ્ટમાં જાણવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર વેબ-સીરીઝનું તમામ કામ પૂરું થઈ ગયું છે અને ફાઈનલ કૉપીને સ્ટ્રીમિંગ માટે મોકલવી પડશે. જો એવું થાય છે તો લગભગ 1 વર્ષ 10 મહિના બાદ મિર્ઝાપુરની વાપસી થશે.