19 January, 2021 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેકર્સે માગી માફી
વેબ-સિરીઝ ‘તાંડવ’ને લઈને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો એને જોતાં ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે માફી માગી લીધી છે. ‘તાંડવ’માં દેખાડવામાં આવેલા ભગવાન શંકર અને નારદ મુનિના ડાયલૉગ્સને લઈને દેશમાં વિવાદ મચી રહ્યો છે. એથી ટ્વિટર પર એક માફીનામું શૅર કરીને અલી અબ્બાસ ઝફરે ટ્વીટ કર્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘તાંડવ’ની કાસ્ટ અને ક્રૂ તરફથી આ ઑફિશ્યલ સ્ટેટમેન્ટ છે. વેબ-સિરીઝ ‘તાંડવ’ને લઈને લોકોના જે પ્રતિસાદ મળી રહ્યા છે એનાં પર અમારું ખાસ ધ્યાન છે. આજે ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રી સાથે થયેલી ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો એનાથી નારાજ છે અને એના કન્ટેન્ટને લઈને લોકોની લાગણી દુભાઈ હોવાનું જાણવા મળ્યું છે. વેબ-સિરીઝ ‘તાંડવ’ની કન્ટેન્ટ કાલ્પનિક છે અને એનાં કોઈ પણ પાત્ર, એની પ્રવૃત્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. લોકોની લાગણી, જાતિ-ધર્મને દુભાવવાનો કાસ્ટ અને ક્રૂનો કોઈ આશય નથી. લોકોના વધતા આક્રોશને જોતાં સાથે જ જાણતાં-અજાણતાં અમારાથી જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો અમે માફી માગીએ છીએ.’