13 May, 2020 09:11 PM IST | Mumbai | Nirali Dave
ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની આગામી ઓરિજિનલ સિરીઝ ‘પાતાલ લોક’ને અનુષ્કા શર્મા પ્રોડ્યુસ કરી રહી છે. ૧૫ મેએ રિલીઝ થનારી આ ક્રાઇમ થ્રિલરમાં સમાજની ડાર્ક અને અનૈતિક બાજુ બતાવવામાં આવી છે. આ સિરીઝમાં જયદીપ અહલાવત, નીરજ કાબી, અભિષેક બૅનરજી, ગુલ પનાગ જેવા અનુભવી કલાકારો છે. જયદીપ અહલાવત ‘પાતાલ લોક’માં હાથીરામ ચૌધરી નામના પોલીસ-ઑફિસરના લીડ રોલમાં છે જેને સંજીવ મેહરા (નીરજ કાબી) નામના ખ્યાતનામ પત્રકારની હત્યાનો પ્રયાસ કરનાર ગુનેગારોને શોધવાની કામગીરી સોંપવામાં આવે છે. આ હાઈ-પ્રોફાઇલ કેસ લડવામાં હાથીરામે ‘પાતાલ લોક’ એટલે કે ગુનેગારોની દુનિયામાં અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
‘રાઝી’, ‘કમાન્ડો’, ‘બાઘી 3’ જેવી ફિલ્મો કરી ચૂકેલા જયદીપ અહલાવત મૂળ હરિયાણાના છે અને ‘પાતાલ લોક’માં તેમની પસંદગી તેમની હરિયાણવી ભાષાને લીધે જ થઈ. શોના સર્જક સુદીપ શર્માએ કહ્યું કે ‘આ રોલ માટે જયદીપ મારી પહેલી પસંદ હતી. તે મૂળ હરિયાણાનો હોવાથી હાથીરામ ચૌધરીના રોલને ન્યાય આપી શકશે એનો મને વિશ્વાસ હતો.’ ‘પાતાલ લોક’ ઉપરાંત જયદીપ અહલાવત અનન્યા પાંડે-ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ખાલી પીલી’ તેમ જ નેટફ્લિક્સના એક પ્રોજેક્ટમાં ફાતિમા સના શેખ સાથે જોવા મળશે.