માંદા ગુરમીતને શું કહીને દેબિનાએ મૅરેજના શૉટ માટે રાજી કર્યો હતો?

14 May, 2020 06:35 PM IST  |  Mumbai | Nirali Dave

માંદા ગુરમીતને શું કહીને દેબિનાએ મૅરેજના શૉટ માટે રાજી કર્યો હતો?

ઇમૅજિન ટીવી પર ૨૦૦૮માં આવેલી પૌરાણિક સિરીઝ ‘રામાયણ’માં ગુરમીત ચૌધરીએ ભગવાન શ્રીરામનો અને દેબિના બોનર્જીએ સીતામાતાનો રોલ ભજવ્યો હતો. ગુરમીત અને દેબિનાને રામ-સીતાની જોડી તરીકે બહુ લોકપ્રિયતા મળી હતી. જોકે ઘણા લોકો એમ માને છે કે આ શોના સેટ પર પ્રેમ પાંગર્યા બાદ ગુરમીત અને દેબિનાએ લગ્ન કર્યાં હતાં, પરંતુ હકીકતમાં તેઓ એકબીજાને બહુ પહેલાંથી ઓળખતાં હતાં અને ‘રામાયણ’ પહેલાં જ ગુપચુપ લગ્ન કરી લીધા બાદ છેક ૨૦૧૧માં એની ઑફિશ્યલ જાહેરાત કરી હતી.

હાલમાં દંગલ ટીવી પર આ સિરિયલનું સાંજે સાડાસાત વાગ્યે રિપીટ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે ત્યારે દેબિના બોનર્જીએ એક રસપ્રદ કિસ્સો યાદ કર્યો હતો. દેબિનાએ કહ્યું હતું, ‘રામાયણમાં રામ-સીતાનાં લગ્ન થાય છે એ સીનના શૂટિંગ દરમ્યાન ગુરમીત બીમાર પડી જતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, પણ શેડ્યુલ મુજબ ગમે તે રીતે એનું શૂટ પતાવવું જરૂરી હતું એટલે મેકર્સે ગુરમીતની જગ્યાએ ડુપ્લિકેટ કલાકારને રાખવાનું નક્કી કર્યું. આ સાંભળીને મેં ગુરમીતને વિનંતી કરી કે કાલે વેડિંગ સીનનો ફાઇનલ શૉટ છે અને હું કોઈ બીજી વ્યક્તિ સાથે ફેરા નહીં લઉં. તારે ગમે એ રીતે સેટ પર હાજર રહેવાનું છે. પછી તો ૧૦૦ ટકા સાજો ન હોવા છતાં ગુરમીતે ડૉક્ટરની સલાહ લઈને આ સીનનું શૂટિંગ પૂર્ણ કર્યું અને અમે ફરી લગ્નગ્રંથિએ બંધાયાં!’

entertainment news indian television television news