01 April, 2020 07:26 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દિશા વાકાણી
સબ ટીવીની કૉમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબહેનના પાત્ર માટે જાણીતી અને શોમાં લાંબો સમય ગાયબ રહીને ચર્ચામાં રહેનારી અભિનેત્રી દિશા વાકાણીએ ક્વૉરન્ટીન સંદર્ભે પોતાના વિચારો શૅર કર્યા છે. દિશાએ જણાવ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશનું હું પાલન કરું છું અને ઘરમાંથી બિલકુલ બહાર નથી નીકળતી. અમે ગરમ પાણી, યોગ્ય ભોજન લઈએ છીએ તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવીએ છીએ. આ ઉપરાંત ઘરમાં હેલ્પર્સ ન હોવાથી અન્ય ફૅમિલી-મેમ્બર્સની મદદથી હું ઘરનું કામ કરું છું. મને ખ્યાલ છે કે લોકો આ લૉકડાઉનના પિરિયડ દરમ્યાન બોર થવાની ફરિયાદ કરી રહ્યા છે, પણ એવું ન થવું જોઈએ. નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આપણે પૂજા-આરાધના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એમ કરવાથી ઘરમાં પૉઝિટિવ વાઇબ્સ મળે છે, જે બધી જ નેગેટિવિટી સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. જો આપણે સારું વિચારીશું તો સારું જ થશે.’
ઉલ્લેખનીય છે કે દિશાએ મૅટરનિટી લીવ લીધી હતી એ પછી શોમાં પાછી નથી ફરી. પોતાની દીકરી સ્તુતિ વિશે તેણે કહ્યું કે ‘તે બહાર રમવાનું મિસ કરે છે, પણ જવાબદાર પેરન્ટ્સ તરીકે અમે તેનું ધ્યાન બીજે ડાયવર્ટ કરીએ છીએ.’