22 May, 2020 08:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શફક નાઝ
લૉકડાઉન દરમ્યાન દેશમાં ‘મની હાઇસ્ટ’ જેટલી જ ચર્ચા ‘મહાભારત’ની પણ થઈ રહી છે. ૨૦૧૩માં આવેલી સ્ટાર પ્લસની સિરીઝનું હાલ રિપીટ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે ત્યારે દરેક કલાકારો આ શોના અનુભવો અને યાદો શૅર કરી રહ્યા છે. તાજેતરમાં અર્જુન બનતા શહીર શેખે શો પહેલાંની વર્કશૉપના વિડિયો અને ફોટો શૅર કર્યા હતા, તો શ્રીકૃષ્ણ બનતો સૌરભ રાજ જૈન પોતાના રોલ વિશે સમયાંતરે લખતો જોવા મળે છે. આ ઉપરાંત સૌથી નાની વયે કુંતીનો રોલ ભજવનારી શફક નાઝે પણ પોતાના રોલ અને ગમતા સીન વિશે જણાવ્યું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ‘મહાભારત’માં માતા કુંતીનો રોલ ભજવનારી શફક નાઝ એ વખતે ફક્ત ૨૧ વર્ષની હતી! આટલી નાની વયે પાંચ પુત્રોની માતાનું પાત્ર ભજવવા વિશે શફક કહે છે, ‘કુંતીનું પાત્ર બહુ મજબૂત હતું અને મને એ ભજવવાની અદમ્ય ઇચ્છા હતી. મેં આ રોલને એક કૅરૅક્ટર તરીકે જ જોયો છે. જો હું એવું વિચારું કે હું તો ફક્ત ૨૦-૨૧ વર્ષની છું અને આ પાંડવોની માનું પાત્ર છે તો આ રોલ કરવો મુશ્કેલ બની જાત.’ પોતાના ગમતા સીન વિશે શફકે કહ્યું કે અર્જુન સાથે મેં અનેક સીન કર્યા છે, પણ સૌથી ઇમોશનલ સીન એ હતો જ્યારે પાંડવો યુદ્ધ માટે જાય છે અને હું તેઓ જાય એવું નથી ઇચ્છતી. ત્યારે અર્જુન કહે છે, ‘મા, તમે નહીં બોલો તો અમે નહીં જઈએ, પણ તમારી આંખમાં આંસુ નહીં આવવા દઈએ.’