સેહબાન અઝીમને મલ્હારનું પાત્ર પહેલાં કેમ નહોતું ગમતું?

04 January, 2021 05:38 PM IST  |  Mumbai | Nirali Dave

સેહબાન અઝીમને મલ્હારનું પાત્ર પહેલાં કેમ નહોતું ગમતું?

સેહબાન અઝીમ

ઝીટીવીના શો ‘તુઝસે હૈ રાબ્તા’માં રીમ શેખ-સેહબાન અઝીમ લીડ રોલમાં છે અને આ શો છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં કલ્યાણી તરીકે રીમ અને મલ્હાર તરીકે સેહબાનને લોકપ્રિયતા મળી છે, પણ સેહબાન આ રોલ સ્વીકારતાં પહેલાં થોડો ડરેલો હતો. સેહબાનને અવઢવ હતી કે શોની સ્ટોરી જેમ-જેમ આગળ વધે એમ આ રોલ પણ એક્સપ્લોર થશે કે નહીં.

સેહબાન કહે છે, ‘અત્યાર સુધી મેં ભજવેલાં પાત્રોમાં મલ્હારને સૌથી વધુ પ્રેમ મળ્યો છે. જોકે શરૂઆતમાં હું રોલને લઈને થોડો ખચકાતો હતો, કેમ કે મલ્હાર એક સરળ છોકરો છે. હું મલ્હાર સાથે કનેક્ટ થઈ શકું છું, પણ તેનામાં કોઈ સ્પાર્ક નથી. મને થયું કે મલ્હાર માટે મારે બહુ ઍક્ટ કરવાનું નહીં આવે. મલ્હાર કોણ છે અને આખી સ્ક્રિપ્ટમાં તેનો શું ભાગ છે એ સવાલ હું પોતાને પૂછતો. જોકે બાદમાં મને એટલો વિશ્વાસ બેઠો કે હું તો ઠીક, દર્શકો પણ આ કૅરૅક્ટરના પ્રેમમાં પડી ગયા. મલ્હાર કલ્યાણીને શરૂઆતમાં હેરાન કરે છે અને પછી પ્રેમમાં પડી જાય છે એ વાત અદ્ભુત છે. હવે તો અઢી વર્ષ થઈ ગયાં છે અને હું મલ્હારનું પાત્ર જીવી રહ્યો છું.’

entertainment news indian television television news tv show zee tv