19 October, 2020 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષ નાગર, રૂપલ પટેલ
૧૦ વર્ષે ફરી એક વાર નવી સીઝન સાથે આવી રહેલી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’નાં બે પાત્રો ક્યારેય ભુલાવાનાં નથી. એક ગોપીવહુ અને બીજાં છે કોકિલાબહેન. આ બન્નેમાં પણ કોકિલાબહેનનો ઠસ્સો અને રુબાબ તો આજે ૧૦ વર્ષ પછી પણ ઑડિયન્સ ભૂલ્યું નથી. કોકિલાબહેનનો એ જ રુબાબ અને ઠસ્સો આજે પણ અકબંધ છે અને એટલે જ કોકિલાબહેન સેટ પર આવે ત્યારે નવી સીઝનના લીડસ્ટાર હર્ષ નાગર સહિત સૌકોઈ ઊભા થઈ જાય છે. હર્ષ કહે છે, ‘તેઓ આવતાની સાથે જ સેટ પર સ્ફૂર્તિ આવી જાય છે. આખો દિવસ કામ કર્યા પછી પણ અમે તેમને જરા પણ થાકેલાં ન જોઈએ. શરૂઆતમાં તો અમને તેમની સિનિયૉરિટીનો ડર લાગતો, પણ અડધા જ દિવસમાં તેમણે એ ડર અમારા બધાના મનમાંથી કાઢી નાખ્યો હતો. અમારી સાથે નાની-નાની વાતમાં મસ્તી કરે, અમારી વાતમાં ઇન્ટરેસ્ટ લે અને તેમની વાતમાં અમને પરાણે જોડે. કેવી રીતે જુનિયર્સને પોતાના કરવાના એ જો કોઈએ શીખવું હોય તો રૂપલ પટેલ પાસેથી શીખી શકે.’
‘સાથ નિભાના સાથિયા’ની પહેલી સીઝન ૨૦૧૦માં આવી હતી. સ્ટાર પ્લસ ક્યાંય આ સિરીઝને પાછી લાવવાનું વિચારતી નહોતી, પણ લૉકડાઉનમાં રીરન થયેલી આ સિરિયલને મળેલા રિસ્પૉન્સ પછી ચૅનલે તરત જ એની સેકન્ડ સીઝનનું પ્લાનિંગ કર્યું.
‘સાથ નિભાના સાથિયા’ની નવી સીઝન સોમવારથી શરૂ થશે.