રાજુ શ્રીવાસ્તવ પાસેથી હું ઘણું શીખી છું : ભારતી સિંહ

22 September, 2022 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં તેમને ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ’માં જોયા છે અને મને તેમની પાસેથી ઘણી પ્રેરણા મળી હતી

ભારતી સિંહ

કૉમેડિયન ભારતી સિંહનું કહેવું છે કે રાજુ શ્રીવાસ્તવ પાસેથી તેને ઘણું શીખવા મળ્યું છે. રાજુ શ્રીવાસ્તવના મૃત્યુને લઈને ભારતી સિંહે કહ્યુ કે ‘થોડા દિવસ પહેલાં જ મેં તેમની પત્ની સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે તેઓ બહુ જલદી સારા થઈ જશે. તેમણે દરેકને હસાવ્યા હતા. આથી ભગવાન તેમની સાથે ન્યાય કરશે એવું મેં તેમને કહ્યું હતું. તેમણે મને તેમના માટે પ્રાર્થના કરવા કહ્યું હતું અને મેં તેમની પત્નીને કહ્યું હતું કે હું રોજ જ પ્રાર્થના કરું છું. જોકે આજે મને શૂટિંગ દરમ્યાન જ્યારે તેમના મૃત્યુ વિશે જાણ થઈ ત્યારે મને ખૂબ જ શૉક લાગ્યો હતો. હું શૂટિંગ કરી રહી છું અને મારે દરેકને હસાવવાના છે અને મને નથી ખબર કે હું એ કેવી રીતે કરીશ. હું ખૂબ જ દુખી છું, પરંતુ હું કોઈને કહી પણ નથી શકતી કે મારે રડવું છે. મેં તેમની ફિલ્મો જોઈ છે અને એક કૉમેડિયન તરીકે તેમની પાસેથી હું ઘણું શીખી છું. જોકે કિંગ ઑફ કૉમેડી હવે નથી રહ્યા ત્યારે અમને હવે કોણ શીખવશે? મેં તેમને ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ’માં જોયા છે અને મને તેમની પાસેથી ઘણી પ્રેરણા મળી હતી. આપણા દેશને તેમની ખૂબ જ મોટી ખોટ સાલશે. હું હમણાં શું ફીલ કરી રહી છું એ વિશે જણાવવા મારી પાસે શબ્દો નથી.’

entertainment news television news raju shrivastav bharti singh the great indian laughter challenge indian television