23 March, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ કપૂર
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ઍક્ટર રામ કપૂર ટૂંક સમયમાં દુબઈ જવાના છે. હકીકતમાં દુબઈમાં તેમના ઘરનાં કામ અધૂરાં છે અને એેને સમયસર પૂર્ણ કરવા તેઓ દુબઈ જવાના છે.
પોતાના આ આયોજન વિશે એક ઇન્ટરવ્યુમાં રામ કપૂરે કહ્યું હતું કે ‘છેલ્લી વાર અમે દુબઈમાં એક અઠવાડિયા માટે રહ્યા હતા. એ સમયે મેં વિચાર્યું હતું કે હું મુંબઈ પાછો આવીશ અને પરિસ્થિતિ શાંત થાય એની રાહ જોઈશ અને એ પછી જ ફરી કામ શરૂ કરીશ. જોકે હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારું કામ હજી બાકી છે. હાલ પરિસ્થિતિ જલદી સુધરતી દેખાતી નથી, પરંતુ વધુ ખરાબ થતી જણાઈ રહી છે. આ સ્થિતિ મહિનાઓ સુધી અથવા વધુ સમય સુધી ચાલે એવી શક્યતા છે. જો આ લાંબું ચાલે તો હું વધુ રાહ જોઈ શકું એમ નથી. મારે ત્યાં જઈને મારું કામ પૂરું કરવું જ પડશે.’
રિપોર્ટ મુજબ રામ કપૂરે જણાવ્યું હતું કે તેનું બુર્જ ખલિફામાં આવેલું ઘર હાલમાં બની રહ્યું છે અને તે એમાં વ્યસ્ત છે. પોતાની વાત કહેતાં રામ કપૂરે કહ્યું હતું કે ‘અમારી પાસે આ કામ પૂરું કરવા માટે નિશ્ચિત સમયમર્યાદા છે અને એમાં જ આ કામ પૂરું કરવું પડશે. હું એક્સટેન્શન માટે વિનંતી કરી શકું છું, પરંતુ આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે એની ખબર નથી. એથી હવે હું ફરીથી કામ શરૂ કરીશ અને મૂળ પ્લાન મુજબ એને પૂર્ણ કરીશ. દુબઈમાં હું જે લોકોને ઓળખું છું તે લોકો પણ પોતાનું કામ ફરી શરૂ કરી રહ્યા છે. હું પૅનિક નથી કરતો. હું એકલો જ દુબઈ જઈશ અને ત્યાં થોડાં અઠવાડિયાં રહીશ. મારાં બાળકો મારી જેમ જ છે. શરૂઆતમાં તેઓ પૅનિક થયાં, પરંતુ પછી સમજ્યાં અને શાંત થઈ ગયાં. તેમણે પોતાની મમ્મીને પણ સમજાવ્યું. ગૌતમી ચિંતિત છે, પરંતુ તે પણ સમજે છે કે આ જરૂરી છે.’