06 January, 2021 07:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોની ટીવીના નવા શો ‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’ ભારતીય ઇતિહાસને એક નવો જ રંગ આપનાર મહિલા અહિલ્યાબાઈ હોળકરના જીવન પર આધારિત છે. અઢારમી સદીમાં જન્મેલાં અહિલ્યાબાઈ તેમના સસરા મલ્હારરાવ હોળકરના સાથથી સામાજિક કુરિવાજ અને ધોરણો સામે લડ્યાં હતાં અને મહિલાઓને અમુક પ્રકારના નરકાગારમાંથી મુક્તિ અપાવી હતી. અહિલ્યાબાઈનાં સાસુ ગૌતમબાઈને પણ આ સસરા-વહુની જોડીથી ઘણી તકલીફ થતી હતી, તો ગૌતમબાઈના કૉસ્ચ્યુમમાં ચૅનલના ક્રીએટિવ્સને ભારોભાર તકલીફ પડી હતી.
ગૌતમબાઈને પરંપરાગત સાડી આપવાથી એ સમયનું વાતાવરણ ઊભું થતું ન હોવાથી ગૌતમબાઈ માટે ખાસ સાડી બનાવવામાં આવી હતી; જે ફીત, રેશમ અને બ્રૉકેડ સાથે મહારાષ્ટ્રિયન કુન ફૅબ્રિકનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવી હતી. તો એ સાડીના કલર માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગૌતમબાઈ પોતાને ઘરનાં લક્ષ્મી માનતાં એટલે તેમની બધી સાડીમાં બ્રાઇટ કલર પર ભારોભાર ધ્યાન આપવામાં આવ્યું અને ગૌતમબાઈ જે ઑર્નામેન્ટ્સ પહેરે એ બધાં પર ‘લક્ષ્મી’ની છાપ પણ ઊભી કરવામાં આવી હતી. આ સાડીઓ અને ઑર્નામેન્ટ્સ દોઢ મહિને તૈયાર થયાં હતાં.
‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’માં ગૌતમબાઈનું કૅરૅક્ટર મરાઠી ઍક્ટ્રેસ સ્નેહલતા વસઈકર કરે છે.