08 December, 2020 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૌર્ય ઔર અનોખી કી કહાની
આવતા સમયમાં સ્ટાર પ્લસ પર ‘શૌર્ય ઔર અનોખી કી કહાની’ નામનો નવો શો શરૂ થશે. પંજાબના એક શહેરની વાત કરતા આ શોમાં અનોખી ભલ્લા નામની એક યુવતી કેવી રીતે પુરુષપ્રધાન સમાજમાં પોતાનું માથું ઊંચકે છે અને કેવી રીતે સૌકોઈની સામે લડે છે એના વિશે વાત કરવામાં આવી છે. અનોખીનું કૅરૅક્ટર દેબાત્તમા સહા ભજવે છે, જ્યારે અનોખી જેના પ્રેમમાં પડે છે એ શૌર્ય સબરવાલનું કૅરૅક્ટર કરણવીર શર્મા કરે છે. શોની સૌથી મોટી ખાસિયત એ છે કે અનોખીના પ્રેમમાં પડેલો શૌર્ય પોતાની શૂરવીરતા રણભૂમિ પર નહીં, પણ સમાજભૂમિ પર દેખાડે છે અને તે પોતાના પ્રેમ એવી અનોખીને તમામ જગ્યાએ સાથ-સહકાર આપવાનું કાર્ય કરે છે.
અનોખીનું કૅરૅક્ટર કરતી દેબાત્તમા સહાએ કહ્યું કે ‘આ શોની સૌથી મોટી ખાસિયત એ છે કે એ આજની સ્ત્રીઓને એકબીજા સાથે કનેક્ટ કરે છે અને તેને પણ પુરુષો પોતાના માટે ઊભી કરેલી પરંપરા તોડવાનું કામ શીખવે છે. જો બધાએ સાથે રહેવાનું હોય તો પછી શું કામ એકબીજાનો સાથ લેવામાં ખચકાવાનું એ જ વાત આ શોનું કેન્દ્રબિંદુ છે.’