18 May, 2022 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંદાર ચાંદવડકર
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ શોમાં ભિડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવડકરનું મૃત્યુ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ વાતને મંદારે એક વિડિયો શૅર કરીને અફવા ગણાવી છે. આ પહેલાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢા પણ શો છોડી રહ્યા છે એ વાત બહાર આવી હતી. મંદારે સોશ્યલ મીડિયા પર લાઇવ આવીને કહ્યું હતું કે ‘નમસ્તે, તમે બધા કેમ છો? આશા રાખું છું કે તમારું કામ પણ સારું ચાલી રહ્યું હશે. હું પણ કામ કરી રહ્યો છું. એક ન્યુઝ છે જેને લોકો ફોર્વર્ડ કરી રહ્યા છે. આથી મેં લાઇવ આવવાનું નક્કી કર્યું છે. સોશ્યલ મીડિયા પર આજકાલ ન્યુઝ ખૂબ જ આગની ઝડપે ફેલાય છે. હું બસ, એટલું કહેવા માગું છું કે હું શૂટિંગ કરી રહ્યો છું અને મારી જાતને એન્જૉય કરી રહ્યો છું. જોકે જેણે પણ ખોટા ન્યુઝ ફેલાવ્યા હોય એને વિનંતી કરું છું કે તે આવા ન્યુઝ ન ફેલાવે. ભગવાન તેને ‘સદ્બુદ્ધિ’ આપે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક આર્ટિસ્ટ એકદમ સારા અને ખુશ છે. તેઓ દર્શકો માટે ભવિષ્યમાં ખૂબ જ સારું કામ કરી તેમને એન્ટરટેઇન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.’