14 August, 2020 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ
કૃષ્ણા અભિષેકનું કહેવું છે કે કૉમેડિયન ભારતી સિંહ સાથે તેનો તાલમેલ અલગ લેવલનો છે. આ બન્નેએ ‘કૉમેડી ક્લાસિસ’ અને ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’માં સાથે કામ કર્યું હતું. હવે તેઓ ફરી એક વખત ‘ફન હિત મેં જારી’માં સાથે કામ કરી રહ્યા છે. આ શોમાં બન્ને અનેક વિષયોને લઈને કૉમેડી કરતાં જોવા મળશે. ભારતી વિશે કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે ‘મને જ્યારે જાણ થઈ કે હું ભારતી સાથે શો કરવાનો છું તો હું ખૂબ ઉત્સાહિત બની ગયો હતો. અમારો તાલમેલ અલગ લેવલનો છે. આ કૉમેડી શો દ્વારા દર્શકોને ખૂબ મનોરંજન મળશે, કેમ કે અમે ખૂબ જ રમૂજ લઈને આવવાનાં છીએ. દર્શકોનો વીક-એન્ડ મનોરંજનથી ભરપૂર બની જશે. આ શો તેમને હાસ્યનો નાનકડો ડોઝ આપવાનો છે.’
શો વિશે ભારતીએ કહ્યું હતું કે ‘અમારો ઉદ્દેશ દર્શકોને ખુશી આપવાનો છે, કેમ કે અમે વર્તમાન મુદ્દાઓને હાસ્ય સાથે રજૂ કરવાનાં છીએ. અમે શૂટિંગને ખૂબ એન્જૉય કરી રહ્યાં છીએ અને એ પણ ખાસ તો કૃષ્ણા, જાસ્મિન અને મુબીન સાથે. અમે આ અગાઉ પણ સાથે કામ કરી ચૂક્યાં છીએ. ‘ફન હિત મેં જારી’માં ફરી અમને એકસાથે કામ કરવાની તક મળી છે.’