23 November, 2020 05:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કનિકા માન
ઝીટીવીના જાણીતા શો ‘ગુડ્ડન તુમસે ન હો પાએગા’ની ઍક્ટ્રેસ કનિકા માન કાલી માનું રૂપ ધારણ કર્યા બાદ હવે શોમાં દુર્ગા મા બનવાની છે. ઉલ્લેખનીય છે કે આ શોમાં ૨૦ વર્ષનો લીપ આવ્યો છે. ગુડ્ડન (કનિકા માન) અને અક્ષત (નિશાંત મલકાની)નું અકસ્માતમાં મોત થયા બાદ તેમની દીકરી છોટી ગુડ્ડન પર વાર્તા કેન્દ્રિત કરવામાં આવી છે. છોટી ગુડ્ડનનું પાત્ર પણ કનિકા પોતે જ ભજવી રહી છે. અગાઉ ગુડ્ડને અક્ષતને બચાવવા માટે કાલી માનું રૂપ ધારણ કર્યું હતું અને હવે તે પોતાની દીકરી છોટી ગુડ્ડનને પુષ્પા, નિયા અને સરસ્વતીના કાવતરાથી બચાવવા માટે દુર્ગા મા બનવાની છે.
કનિકા માન આ વિશે કહે છે કે ‘મને યાદ છે જ્યારે હું કાલી મા બનવાની હતી ત્યારે ઉત્સાહિત સાથે નર્વસ પણ હતી, કેમ કે પૌરાણિક પાત્રો ભજવવામાં ખાસ પડકાર હોય છે. આ વખતે મને એ જ અનુભવ કામ આવ્યો. જોકે આ વખતે કાલી માની જેમ હેવી લુક નહોતો અપનાવવાનો, પણ દુર્ગા મા તરીકે ઉગ્ર દેખાવા માટે એનર્જીની જરૂર હતી. શરૂઆતના ટેક મારા માટે મુશ્કેલ હતા, પણ પછી મારે પોતાને એ મૂડમાં લાવવી પડી જેથી મારા ચહેરા પર ક્રોધ દેખાય.’