20 October, 2020 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિવારીભૈયા
ઍન્ડટીવીના પૉપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હૈ’માં નવરાત્રિ નિમિત્તે રાવણદહનનું સેલિબ્રેશન શરૂ કરવાનું છે અને એમાં જબરદસ્ત ધમાલ મચી જવાની છે. બન્યું છે એમાં એવું કે દશેરા કમિટી અંગૂરીભાભીને સભ્ય બનાવવા માગે છે, જેમાં ઇરાદો ક્રિસ્ટલ ક્લિયર છે કે તિવારીભૈયાની દુકાનની સ્પૉન્સરશિપ મળે. આ સ્પૉન્સરશિપ માટે તિવારી તૈયાર તો થાય છે, પણ તેની શરત છે કે રાવણદહન બીજું કોઈ નહીં કરે, પોતે જ કરશે. કમિટી તૈયાર છે, પણ આ વાતનો વિરોધ જો કોઈને હોય તો એ છે વિભૂતિ. વિભૂતિ રામ બનવા માગે છે અને એટલે જ વિભૂતિ નક્કી કરે છે કે એ કોઈ પણ હિસાબે તિવારીભૈયાની ઇમેજ બગાડશે અને તેને રાવણદહન કરવા નહીં દે.
વિભૂતિને આ કામમાં સફળતા મળે છે અને કમિટી તિવારીભૈયાની મેમ્બરશિપ કૅન્સલ કરી નાખે છે, પણ હવે તિવારી મેદાનમાં ઊતરે છે અને તિવારી પોતાની ઇમેજ પાછી લાવવા માટે કમર કસે છે. આખી વાતમાં તિવારી અને વિભૂતિ બન્ને આમનેસામને આવી જાય છે અને વાર્તા એક નવી દિશા પકડે છે.
‘ભાભીજી ઘર પર હૈ’ લૉકડાઉન પછી ટીઆરપીમાં જબરદસ્ત આગળ વધી છે. પ્રોડ્યુસર અને ચૅનલની ધારણા છે કે નવરાત્રિને સમાવતી આ નવી વાર્તા શોને નવા જ માઇલસ્ટોન પર લઈ જશે.