28 November, 2019 11:15 AM IST | Mumbai | Rashmin Shah
સુધા મૂર્તિ સાથે અમિતાભ બચ્ચન
ભાવિત થઈને, ફેન હોવાના કારણે કે પછી સદીના મહાનાયક હોવાની રુએ ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર સૌ કોઈ અમિતાભ બચ્ચનને પગે લાગે એવું લગભગ દરરોજ જોવા મળે છે પણ આવતી કાલે ઓનએર થનારા એપિસોડમાં તમને પહેલી વખત રીવર્સ દ્રશ્ય જોવા મળશે. ૧૯મી ઓગસ્ટથી શરૂ થયેલી ‘કૌન બનેગા કરોડપતિ’ની આ અગિયારમી સીઝનમાં પહેલીવાર એવું બન્યું હોટસીટ પર બેસનારાં કન્ટેસ્ટન્ટને ખુદ મહાનાયકે ઝૂકીને આશીર્વાદ લીધાં. આ દ્રશ્ય જોઈને સેટ પર રહેલાં સૌ કોઈ ગદ્ગદ્ થઈ ગયા હતાં. બન્યું એવું હતું કે આ અંતિમ એપિસોડમાં પ્રતિયોગી તરીકે બીજું કોઈ નહીં પણ ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના ધર્મપત્ની અને જાણીતાં કર્મનિષ્ઠ સુધા મૂર્તિ આવ્યા હતાં.
અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલાં અને અઢળક સામાજિક સંસ્થા ચલાવતાં સુધા મૂર્તિને જીવનમાં એકવાર મળવું એ અહોભાગ્ય છે એવું અમિતાભ બચ્ચને કહ્યું હતું. સુધા મૂર્તિએ આ શોમાં પોતાના જીવનના અનેક પ્રસંગો વિશે વાત કહી હતી તો તેમના કોલેજકાળના કિસ્સાઓ પણ તેમણે કહ્યાં હતા અને નારાયણ મૂર્તિની પણ અજાણી વાતો તેમણે શૅર કરી હતી. યાદ રહે, સુધા મૂર્તિ હૂબલીના પહેલાં મહિલા એન્જિનિયર બન્યાં હતાં. ૧૯૬૮માં જ્યારે તેમણે એન્જિન્યરિંગ કોલેજમાં એડમિશન લીધું ત્યારે કોલેજમાં ૬૦૦ સ્ટુડન્ટ હતાં, જેમાંથી પ૯૯ સ્ટુડન્ટ બોય્ઝ હતાં.