07 August, 2020 11:52 AM IST | Mumbai | Rashmin Shah
અખિલેન્દ્ર મિશ્રા
આનંદ સાગરની દંગલ ચૅનલ પર આવેલી ‘રામાયણ’માં રાવણનું કૅરૅક્ટર અખિલેન્દ્ર મિશ્રાએ કર્યું છે, પણ હકીકત એ હતી કે અખિલેન્દ્ર આ રોલ બે વખત ઠુકરાવી ચૂક્યો હતો. બન્યું એવું હતું કે જ્યારે શૂટ શરૂ થવાનું હતું ત્યારે અખિલેન્દ્ર પાસે બિગ બજેટની એવી ત્રણ ફિલ્મો હતી અને એ ત્રણ ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલતું હતું. અખિલેન્દ્ર કહે છે કે ‘મને ઑફર આવી ત્યારે મેં સહજતાપૂર્વક ના પાડી દીધી હતી. મારું ફોકસ ટીવી આમ પણ નહોતું એટલે મને થયું કે રોલ છોડવામાં સાર છે. મેં ના પાડી અને હું તો વાત ભૂલી ગયો હતો.’
આનંદ સાગર પણ બીજા રાવણની શોધમાં લાગી ગયા અને એકાદ મહિના પછી ફરીથી અખિલેન્દ્રને ફોન ગયો. આ વખતે ફોન ચૅનલ તરફથી ગયો હતો. ચૅનલ ઇચ્છતી હતી કે અખિલેન્દ્ર જ રાવણ બને. અખિલેન્દ્રએ ના પાડવાના હેતુથી જ મીટિંગની માગણી કરી.
અખિલેન્દ્ર કહે છે કે ‘સામાન્ય રીતે આવી મીટિંગ એકાદ કલાક ચાલતી હોય છે, પણ મારી મીટિંગ ૪ કલાક ચાલી. રાવણના સ્કૅચ, એનું પ્રેઝન્ટેશન અને એનો લુક મારી સામે પ્રેઝન્ટ કરવામાં આવ્યો અને હું આફરીન થઈ ગયો.’
આનંદ સાગરની ‘રામાયણ’નું શૂટ વડોદરામાં થયું હતું. જેને માટે અખિલેન્દ્ર દરરોજ સવારની ફ્લાઇટમાં વડોદરા જતો અને સાંજની ફ્લાઇટમાં મુંબઈ પાછો આવીને પોતાની ફિલ્મોનું ડબિંગ કરતો. આવું લગભગ દોઢ મહિનો ચાલ્યું હતું