રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ!

16 June, 2026 10:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેલરની શરૂઆત જ એક ગંભીર અને વિચારપ્રેરક સંવાદથી થાય છે — "તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે." આ સંવાદ ફિલ્મના ગાઢ અને રહસ્યમય માહોલની ઝલક આપે છે.

કડકનાથનું ટ્રેલર થયું લૉન્ચ

ગુજરાતી સિનેમામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિષયવૈવિધ્યપૂર્ણ ફિલ્મોનું પ્રમાણ વધ્યું છે અને હવે આ યાદીમાં વધુ એક રસપ્રદ નામ જોડાયું છે — ‘કડકનાથ’. રહસ્ય, રોમાંચ અને લોકકથાના તત્ત્વોને એકસાથે ગૂંથતી આ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું છે, જેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

ટ્રેલરની શરૂઆત જ એક ગંભીર અને વિચારપ્રેરક સંવાદથી થાય છે — "તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે." આ સંવાદ ફિલ્મના ગાઢ અને રહસ્યમય માહોલની ઝલક આપે છે. નિર્માતાઓએ ફિલ્મને ‘ફોક થ્રિલર’ તરીકે રજૂ કરી છે, જે ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળતો પ્રકાર છે.

ટ્રેલર પરથી મળતી માહિતી અનુસાર, ફિલ્મની વાર્તા એક એવા ગામની આસપાસ કેન્દ્રિત છે જ્યાં અચાનક યુવાનોના રહસ્યમય મૃત્યુઓથી ભયનું વાતાવરણ સર્જાય છે. સતત બની રહેલી આ ઘટનાઓને કારણે ગામલોકો સ્થળાંતર કરવા મજબૂર બને છે. પોલીસ તપાસ શરૂ કરે છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધે છે તેમ તેમ રહસ્ય વધુ ગૂંચવાતું જાય છે. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ છુપાયેલા સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ ફિલ્મના મુખ્ય પાત્રને એક ભયાનક અને અજાણી સફર તરફ ધકેલી દે છે.

ફિલ્મમાં કાળા રંગના કડકનાથ મરઘા, ગાઢ જંગલો, અંધારી રાતો અને ભયાનક દૃશ્યોનો ઉપયોગ કરીને એક અનોખું સિનેમેટિક વિશ્વ ઊભું કરવામાં આવ્યું છે. ટ્રેલર દર્શાવે છે કે ફિલ્મ માત્ર સસ્પેન્સ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં લોકસંસ્કૃતિ અને માન્યતાઓના તત્ત્વોને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયાએ કર્યું છે. મુખ્ય ભૂમિકામાં અભિનય બૅન્કર જોવા મળશે. તેમની સાથે ડેનિશા ઘુમરા, ચેતન દૈયા, નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ, સી. પી. લક્ષ્મણ, ચેતનકુમાર સોલંકી, એ. જી. કુરેશી અને ડૉ. અમિત ડામોર સહિતના કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

લેન્સક્વીન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મપ્રેમીઓ માટે સસ્પેન્સ, ડ્રામા અને લોકકથાના તત્ત્વોનું અનોખું સંયોજન લઈને આવી રહેલી ‘કડકનાથ’ 26 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર જોતા એટલું ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને અંત સુધી સસ્પેન્સમાં રાખવાનો પ્રયાસ કરશે.

abhinay banker gujarati film upcoming movie entertainment news dhollywood news