16 October, 2020 01:06 PM IST | Rajkot | Rashmin Shah
સિદ્ધાર્થ રાંદેરિયા
કોવિડ પછી નાટકો બંધ થઈ ગયાં, પણ હવે એ ફરીથી શરૂ થવાની આશા નવેસરથી બળવત્તર બની છે. ૧૧ માર્ચથી બંધ થયેલાં ગુજરાતી નાટકો પછી હવે પહેલો શો પાંચમી નવેમ્બરે ઉત્તરાખંડના મસૂરીમાં થશે અને સિદ્ધાર્થ રાંદેરિયા ‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’નો પ્રાઇવેટ શો કરશે.
મસૂરીનો આ શો પ્રાઇવેટ શો છે અને લિમિટેડ લોકોને જ એમાં પ્રવેશ મળવાનો છે. નાટકમાં કુલ ૧૧ કલાકારો છે. સિદ્ધાર્થભાઈ કહે છે, ‘કોઈને ઓછા કરવાનો પ્રશ્ન જ નથી, ઊલટું જો ઍક્ટર વધારી શકાતા હોય તો હું એનો પ્રયાસ કરીશ. લાંબા સમયથી બધા ઘરે બેઠા છે અને થિયેટર નૉર્મલ મોડમાં ક્યારે આવશે એ હજી અચોક્કસ છે ત્યારે સ્વાભાવિક રીતે વધુમાં વધુ લોકોને કામ મળે એ જોવાનું હોય.’
‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’ નાટકના લીડ રોલમાં સિદ્ધાર્થ રાંદેરિયા છે તો નાટકનું ડિરેક્શન પણ તેમનું જ છે. આ નાટકના અગાઉ ૭૦૦થી વધારે શો થઈ ચૂક્યા છે.
એક્ઝૅક્ટ ૨૩૯ દિવસ પછી ફરીથી નાટક કરવા મળશે જેની નૅચરલી ખુશી છે અને સાથે ઉત્સાહ પણ છે કે હવે ફરીથી સ્ટેજ પર જવા મળશે.
- સિદ્ધાર્થ રાંદેરિયા