01 December, 2019 12:36 PM IST | Mumbai
સફરજન
ભરત નારાયણદાસ ઠક્કર નિર્મિત, સ્નેહા દેસાઈ લિખિત અને રાજેશ જોષી દિગ્દર્શિત અમરદીપ પ્રોડક્શનનું નવું નાટક ‘સફરજન’ની સ્ટોરી કાશ્મીર અને સ્પેસિફિક કહેવાનું હોય તો લાઇન ઑફ કન્ટ્રોલ પર આવેલા ખાનપોરા નામના ગામમાં સેટ થયેલી છે. આ વિસ્તારના લોકોની વિચારધારા, તેમની મનોદશા અને જમ્મુ-કાશ્મીરના લોકોના યુવાનોની વિચારધારા ‘સફરજન’ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવી છે. ‘સફરજન’ની સ્ટારકાસ્ટમાં ધર્મેન્દ્ર ગોહિલ, અમી ત્રિવેદી, પરાગ શાહ, અનિકેત ટાંક, શ્યામ માખેચા, આલોક ઠાકર, સ્વપ્નિલ ધુલપ, વિપુલ મહેર અને ટીવીસ્ટાર આનંદ ગોરડિયા છે. આનંદ ગોરડિયા ૧૧ વર્ષે ફરીથી સ્ટેજ પર ઍક્ટિંગ કરશે.
નાટકની સ્ટોરી મોહમ્મદ, શ્યામલાલ, અનવર અને જેલમની આસપાસ ફરે છે. આ ચાર વ્યક્તિને એકબીજા સાથે કોઈ સંબંધ નથી અને એ પછી પણ જીવનના એક તબક્કે ચારેચારનો અનાયાસ મેળાપ થાય છે અને આ મેળાપ તેમને એકબીજા સાથે એવી ઘનિષ્ઠ રીતે જોડી દે છે જે કાશ્મીરના ખીણમાંથી સ્ફુરતા સંબંધો અને લાગણીઓની વાત કરે છે. નાટકમાં કાશ્મીર લાવવા માટે ખાસ્સી મહેનત કરવામાં આવી છે. કાશ્મીરની ખીણથી માંડીને સ્નોફૉલ, શિકારા, ઝરણાં અને કાશ્મીરની ઓળખ સમાન સફરજનને પણ આખા નાટકમાં સરસ રીતે સમાવવામાં આવ્યાં છે.
‘સફરજન’નો શુભારંભ આજે સાંજે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.