27 July, 2026 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ
રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ‘રામાયણ’માં સાઉથનો સુપરસ્ટાર યશ રાવણનો રોલ ભજવી રહ્યો છે. ગુરુવારે અમેરિકામાં યોજાયેલા સૅન ડીએગો કૉમિક-કૉન દરમ્યાન યશ, રણબીર કપૂર, દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા ફિલ્મના વિશેષ પૅનલ સેશનમાં હાજર રહ્યા હતા.
આ દરમ્યાન યશે ભગવાન શ્રી રામના પાત્રમાં રણબીરના અભિનયની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘આ દુનિયામાં કોઈ વ્યક્તિ આવીને એવું કહી શકે નહીં કે મારી પાસે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવા માટે તમામ ગુણો છે. રણબીરે પણ આ જ વાત સ્વીકારી હતી અને એ જ તેની નમ્રતા દર્શાવે છે. તે અદ્ભુત અભિનેતા છે. ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવું બિલકુલ સરળ નથી. તેણે આ પાત્ર માટે જે મહેનત કરી છે એ માટે મને તેના પ્રત્યે ઘણું માન છે. રણબીરે પોતાની ફિટનેસ પર ખૂબ મહેનત કરી છે. જ્યારે તમે ‘રામાયણ’ જોશો ત્યારે તમને સુંદર શ્રી રામ જોવા મળશે. તેણે આ પાત્ર માટે ખૂબ ત્યાગ કર્યો છે.’