ઉરીવાળો વિકી કૌશલ હવે મહાભારત સાથે જોડાયેલું પાત્ર ભજવશે

16 April, 2019 06:51 PM IST  | 

ઉરીવાળો વિકી કૌશલ હવે મહાભારત સાથે જોડાયેલું પાત્ર ભજવશે

વિકી કૌશલ (ફાઇલ ફોટો)

ફિલ્મ દિગ્દર્શક આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકમાં મેજર વિહાન સિંહ શેરગિલનું પાત્ર ભજવ્યા બાદ હવે વિકી કૌશલ મહાભારતમાંના પાત્ર અશ્વત્થામાની ભૂમિકા ભજવવા જઇ રહ્યો છે. તેણે ફરી દિગ્દર્શક આદિત્ય ધરની ફિલ્મ સાઇન કરી છે અને તેને પ્રૉડ્યુસ રૉની સ્ક્રૂવાલા કરશે.

વિકી પોતાની આગામી ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા હશે અને આમાં વિકી કૌશલ એક માયથોલોજિકલ પાત્ર ભજવશે. સૂત્રો પ્રમાણે ઉરીની સફળતા પછી હવે નિર્માતા રૉની સ્ક્રૂવાલા અને નિર્દેશક આદિત્ય ધર કંઇક મોટું અને રસપ્રદ કરવા માગે છે. આદિત્ય આ સ્ટોરી પર ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છે. જ્યારે ઉરી રિલીઝ પણ નહોતી થઇ ત્યારે જ આ બાબતની માહિતી રૉની સ્ક્રૂવાલા અને વિકી કૌશલને આપી દીધી હતી, અને તે બન્નેને તેના પર કામ કરવાનું પણ કહી દીધું હતું. આ ફિલ્મની શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે.

નોંધનીય છે કે અશ્વત્થામાએ, જે ગુરુ દ્રોણાચાર્ય અને કૃપીના પુત્ર હતા, મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોની વિરુદ્ધ અને કૌરવોના પક્ષમાં લડાઇ લડી હતી. અશ્વત્થામાનો જન્મ ભગવાન શિવ દ્વારા અપાયેલ આશીર્વાદ સ્વરૂપે થયો હતો અને તે ચિરંજીવી માનવામાં આવતાં હતા કે જ્યાં સુધી કળિયુગ છે ત્યાં સુધી તે જીવિત રહેશે. અશ્વત્થામાના માથામાં એક હિરો જડાયેલો હતો જે તેમને શક્તિપ્રદાન કરીને તેમને ભૂખ, તરસ અને થાકથી બચાવતો હતો.

આ પણ વાંચો : વિવેક ઓબેરોયને હજી પણ છે સલમાન પાસેથી માફીની અપેક્ષા

આ ફિલ્મ સિવાય વિકી કૌશલ ટૂંક સમયમાં જ ફિલ્મ તખ્ત અને સુજીત સરકારની આગામી ઉધમ સિંહની બાયોપિકમાં જોવા મળશે. આદિત્ય ધરની આ ફિલ્મની શૂટિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે અને આ ફિલ્મને તે 2020ના મધ્યમાં રિલીઝ કરવા માગે છે.

vicky kaushal bollywood