અશ્વત્થામાની જર્ની શરૂ કરવા માટે એક્સાઇટેડ છે વિકી કૌશલ

12 January, 2021 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્વત્થામાની જર્ની શરૂ કરવા માટે એક્સાઇટેડ છે વિકી કૌશલ

ડિરેક્ટર આદિત્ય ધરની ‘અશ્વત્થામા’ને લઈને વિકી કૌશલ ખૂબ એક્સાઇટેડ છે. આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ મહાભારતના જ એક પાત્ર અશ્વત્થામા પર આધારિત છે. ફિલ્મમાં ભરપૂર ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. 2018માં રિલીઝ થયેલી ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ને આદિત્યએ ડિરેક્ટ અને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મને લોકોએ સારો રિસ્પૉન્સ આપ્યો હતો. ફિલ્મને ૩ નૅશનલ અવૉર્ડ મળ્યા હતા. ડિરેક્શન માટે આદિત્યને અને બેસ્ટ પર્ફોર્મન્સ માટે વિકીને નૅશનલ અવૉર્ડ મળ્યા હતા. આ ફિલ્મની રિલીઝને બે વર્ષ થયાં છે. એ નિમિત્તે વિકી, આદિત્ય અને રૉનીએ મળીને ‘અશ્વત્થામા’નો ફર્સ્ટ લુક બહાર પાડ્યો હતો. એ વિશે આદિત્ય ધરે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ને મળેલા પ્રેમથી અમે ખૂબ ખુશ છીએ. સાથે જ એ પ્રેમ અમારા માટે એક જવાબદારી લઈને આવે છે કે અમારા આગામી પ્રોજેક્ટ દ્વારા અમે લોકોની અપેક્ષાએ ખરા ઊતરીએ. ‘અશ્વત્થામા’ માટે દર્શકોને એક ભવ્ય અનુભવ અપાવવા માટે અમે સખત મહેનત કરી રહ્યા છીએ. આવો અનુભવ તેમણે કદી પણ નહીં જોયો હોય. હું વચન આપું છું કે આ માત્ર એક ફિલ્મ જ નહીં હોય પરંતુ એક અવર્ણનીય અનુભવ રહેશે. એક પ્રેશર સિવાય આ પૌરાણિક સ્ટોરી દેખાડવાની અમારા પર જવાબદારી છે. જે રીતે અમે એને દેખાડવાના છીએ મને આશા છે કે લોકો ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની જેમ જ ‘અશ્વત્થામા’ પર પણ અપાર પ્રેમ વરસાવવાના છે.’

તો આ ફિલ્મ વિશે પોતાના વિચાર જણાવતાં રૉનીએ કહ્યું હતું કે ‘દરેક ફિલ્મની એની પોતાની જર્ની હોય છે. એથી જ્યારે નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની ટીમ ફરીથી સાથે આવી તો તેમના પર અપેક્ષાઓ વધુ રાખવામાં આવે છે. એની સ્ટોરી અદ્ભુત, કૅરૅક્ટર્સ અવર્ણનીય અને વિશ્વને વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો અનોખો અનુભવ અપાવશે. આ ફિલ્મ માટે ભાષાનું કોઈ બંધન નથી. આ વર્ષે અમે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છીએ. હું આદિત્યના વિઝનને સ્ક્રીન પર જોવા માટે આતુર છું. હું એટલું કહી શકું છું કે આ મારો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એથી વિશ્વ અને દેશના લોકો સુધી આ ફિલ્મ પહોંચાડવા માટે અમે ઉત્સુક છીએ.’

તો બીજી તરફ વિકીનો ઉત્સાહ પણ ક્યાંય સમાતો નથી. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે આતુર વિકીએ કહ્યું હતું કે ‘આદિત્યનો ડ્રીમ પ્રોજેક્ટ છે ‘અશ્વત્થામા’. એવામાં દર્શકોને આવા વિઝનરી પ્રોજેક્ટનો ભવ્ય અનુભવ કરાવવા માટે રૉનીનો સપોર્ટ હોવો જરૂરી છે. એક ઍક્ટર તરીકે મારા માટે નવા આયામ ઊઘડી જશે. ઍક્ટિંગની સાથે જ મને નવા પ્રકારની ટેક્નૉલૉજીનો અનુભવ મળશે. આ ફિલ્મની જર્નીને જલદી જ શરૂ કરવા માટે હું આતુર છું.’

entertainment news bollywood bollywood news upcoming movie vicky kaushal