06 April, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદિવી શેષ અને મૃણાલ ઠાકુરને લીડ રોલમાં ચમકાવતી ‘ડકૈત’ ૧૦ એપ્રિલે રિલીઝ થશે
અદિવી શેષ અને મૃણાલ ઠાકુરને લીડ રોલમાં ચમકાવતી ‘ડકૈત’ પહેલાં ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં નિર્માતાઓએ એની રિલીઝ-ડેટ આગળ ધપાવી દીધી હતી. આ ફિલ્મ હવે ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ જ દિવસે રિલીઝ થઈ રહેલી ‘ધુરંધર : ધ રિવેન્જ’ હતી. હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’ને લઈને ફિલ્મના ઍક્ટર અદિવી શેષે મોટું નિવેદન આપ્યું છે.
આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન અદિવી શેષે રિલીઝ-ડેટ બદલવાના મુદ્દે પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે ‘૧૯ માર્ચે ‘ધુરંધર : ધ રિવેન્જ’નો જબરદસ્ત ક્રેઝ હતો, જેના કારણે મોટા ભાગની સ્ક્રીન્સ એ ફિલ્મ માટે જ ફાળવાઈ હતી. ‘ધુરંધર : ધ રિવેન્જ’ની બૉક્સ-ઑફિસ પરની દોડ હજી ૩-૪ મહિના સુધી ચાલુ રહી શકે છે અને આગળ પણ સફળ રહેશે. આ ફિલ્મ ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી છે અને આવી મોટી ઘટનાઓ સમગ્ર સંસ્કૃતિ પર અસર કરે છે. જોકે એક રીતે જોઈએ તો દરેક પ્રકારની ફિલ્મ માટે જગ્યા હોય છે અને જેમને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ટિકિટ મળી રહી નથી તેઓ ‘ડકૈત’ જોવા આવી શકે છે.’
‘ડકૈત’માં અદિવી શેષ એક ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મની વાર્તા એવા બે લોકોની છે જેઓ એક સમયે એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ પરિસ્થિતિઓ તેમને સાથે મળી ચોરી કરવાની ઘટનાઓ તરફ દોરી જાય છે. આ ફિલ્મમાં પ્રકાશ રાજ અને અનુરાગ કશ્યપ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.