19 May, 2023 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ કેરલ સ્ટોરી’
‘ધ કેરલ સ્ટોરી’ પર વેસ્ટ બેન્ગૉલ દ્વારા લગાવવામાં આવેલા બૅનને સુપ્રીમ કોર્ટ દ્વારા હટાવી લેવામાં આવતા અગાઉ જ ૧૬૫ કરોડ રૂપિયા રળી ચૂકેલી આ ફિલ્મનો બિઝનેસ વધુ જોર પકડશે એવી અપેક્ષા છે. આ ફિલ્મમાં કેવી રીતે મહિલાઓને ભોળવીને તેમનું બ્રેઇનવૉશ કરી તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવે છે અને તેમને કેવી રીતે આતંકવાદી સાથે મોકલવામાં આવે છે એની સ્ટોરી દેખાડવામાં આવી છે. આ ફિલ્મનો તામિલનાડુ અને વેસ્ટ બેન્ગૉલની સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને દીદી એટલે કે મમતા બૅનરજી દ્વારા બૅન કરવામાં આવી હતી. જોકે વિપુલ અમૃતલાલ શાહ અને એની ટીમે આ માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે હવે હાલપૂરતી તો ફિલ્મને આડે કોઈ આડખીલી નથી અને તેને કારણે આ ફિલ્મ સારો બિઝનેસ કરે એવી અપેક્ષા છે.
164.59
બુધવાર સુધીમાં ‘ધ કેરલ સ્ટોરી’એ આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ
‘ધ કેરલ સ્ટોરી’ના પ્રોડ્યુસરે આશ્રમને દાન કર્યા એકાવન લાખ
‘ધ કેરલ સ્ટોરી’ના પ્રોડ્યુસરે કેરલાના એક આશ્રમને ૫૧ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આ ફિલ્મને હવે યુનાઇટેડ કિંગડમમાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મની સફળતાને લઈને એક પ્રેસ-કૉન્ફરન્સ રાખવામાં આવી હતી. આ ફિલ્મને લઈને ઘણી પૉલિટિકલ પાર્ટીઓએ એની સ્ટોરીને સાબિત કરવા માટે ઇનામની જાહેરાત કરી હતી. આ ફિલ્મની સ્ટોરી કેટલીક મહિલાઓથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. આથી મેકર્સ દ્વારા આર્શા વિદ્યા સમાજમ આશ્રમમાંથી ૨૬ મહિલાઓને પ્રેસ-કૉન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવી હતી. આ આશ્રમ ધર્મપરિવર્તન થયેલી મહિલા સર્વાઇવરને સેવા પૂરી પાડે છે. આથી મેકર્સ દ્વારા આ આશ્રમને ૫૧ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આ વિશે વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે ‘લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ ફિલ્મ ખોટી છે. મેકર્સ ખોટું બોલી રહ્યા છે એવું પણ તેઓ કહી રહ્યા છે, જે સત્ય નથી. આ ત્રણ મહિલાઓની સ્ટોરી કરતાં ફિલ્મનો મુદ્દો ખૂબ જ મોટો છે.’