ફિલ્મ પાની શેખર કપૂરને કારણે પડતી મૂકવામાં આવી હતી:આદિત્ય ચોપડા

28 March, 2021 12:50 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Correspondent

ફિલ્મ પાની શેખર કપૂરને કારણે પડતી મૂકવામાં આવી હતી:આદિત્ય ચોપડા

સુશાંત સિંહ રાજપૂત. તસવીર - પલ્લવ પાલીવાલ

આદિત્ય ચોપડાએ મુંબઈ પોલીસને નિવેદન આપતાં જણાવ્યું હતું કે સુશાંતના ડિપ્રેશનનું કારણ ‘પાની’ને પડતી મૂકવાનું નહોતું. તેણે જણાવ્યું હતું કે ડિરેક્ટર શેખર કપૂર સાથે ક્રીએટિવ મતભેદ નિર્માણ થતાં આ ફિલ્મ અટકી ગઈ હતી. ૪ કલાક ચાલેલી પૂછપરછ દરમ્યાન આદિત્ય ચોપડાએ ઘણી માહિતી આપી હતી. આ કેસ સંભાળી રહેલા પોલીસ-ઑફિસરના જણાવ્યા મુજબ યશરાજ ફિલ્મ્સના કહેવા પર જ સુશાંતને ‘પાની’માં લીડ રોલ આપવામાં આવ્યો હતો. સાથે જ એ આરોપો તદ્દન ખોટા છે કે ‘પાની’ અટકી પડતાં સુશાંત ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. ૧૫૦ કરોડનાં બજેટવાળી આ ફિલ્મના પ્રી-પ્રોડક્શનમાં જ પાંચથી છ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે ડિરેક્ટર અને આદિત્ય ચોપડા વચ્ચે ક્રીએટિવ મતભેદ ઊભા થતા આ ફિલ્મ બંધ પડી ગઈ હતી. 2015માં સુશાંતને કૉન્ટ્રૅક્ટમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ મનદુઃખ નહોતું. આ ફિલ્મ ન બનવાથી સુશાંત ઉદાસ થયો હશે એ વાત સ્વાભાવિક છે. કોઈ પણ કલાકાર નિરાશ થઈ શકે છે. જોકે સુશાંત એક સમજદાર ઍક્ટર હતો. ઇન્ડસ્ટ્રીમાં આવું ચાલ્યા કરે છે, આ વાત સુશાંત પણ જાણતો હતો. ફિલ્મ ન બનવાથી સુશાંત ડિપ્રેશનમાં ગયો હતો એ વાત માનવા યશરાજ ફિલ્મ્સ અને આદિત્ય ચોપડા તૈયાર નથી.

bollywood bollywood news bollywood gossips aditya chopra shekhar kapur sushant singh rajput