04 August, 2020 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટર સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડ-કેસમાં તપાસ માટે આવેલી બિહાર પોલીસને રવિવારે ક્વૉરન્ટીન કરવામાં આવી હતી. આ બાબતે ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારના નિયમ મુજબ અન્ય રાજ્યથી આવેલી કોઈ પણ વ્યક્તિને ક્વૉરન્ટીન કરવાનો નિયમ છે, જે પાળવામાં આવ્યો છે. જો બિહાર પોલીસને ક્વૉરન્ટીન કરાયેલા દિવસોમાં રાહત જોઈતી હશે તો એમસીજીએનને પત્ર લખીને ક્વૉરન્ટીન દિવસોમાં રાહત મેળવી શકે છે. આથી પટનાના એસએસપીએ છૂટછાટ મેળવવા માટે ગઈ કાલે પત્ર લખ્યો હતો.’
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘રાજ્ય સરકાર દ્વારા ૨૫ મેએ આપવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર દેશની અંદર પ્રવાસ કરનાર પ્રવાસીઓએ ૧૪ દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે, જે અનુસાર બિહારથી આવેલા પોલીસને ગોરેગામ-ઈસ્ટ ખાતેના એસઆરપીએફ ગ્રુપ-૮ના ગેસ્ટહાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી છે. જો તેઓને ક્વૉરન્ટીન પિરિયડમાં રાહત જોઈતી હશે તો એમસીજીએમને પત્ર લખીને રાહત મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે પટનાના એસએસપી ઉપેન્દ્ર કુમાર યાદવે મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે જેમાં મુંબઈમાં તપાસ માટે આવેલા એસ. પી. વિનય તિવારી માટે મહારાષ્ટ્ર ડીજી ઑફિસના આઇજી હેડક્વૉર્ટરમાં રહેવાની અને પોલીસનું વાહન આપવાની અપીલ કરી છે. જોકે કોવિડને કારણે અત્યારે વિનય તિવારીને એસઆરપીએફ ગ્રુપ-૮ના ઑફિસર્સ મેસમાં રહેવાની વ્યવસ્થા સાથે મારુતિ એર્ટિગા કાર આપવામાં આવી છે.