27 July, 2020 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ ભલે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. પરંતુ ફૅન્સ હોય કે પરિવાજનો દરેકના દિલમાં સુશાંત આજે પણ જીવિત છે. તેને ભુલાવવો લોકો માટે મુશ્કેલ થઈ રહ્યું છે. સહુ કોઈ સોશ્યલ મીડિયા પર અભિનેતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા હોય છે. સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેન શ્વેતા સિંહ કિર્તી સતત તેના માટે કંઈકને કંઈક પોસ્ટ કરતી જ હોય છે. તાજેતરમાં તેણે અભિનેતાના બાળપણની તસવીરો, બહેનના લગ્ન સમયની તસવીરો અને સાથે જ કેટલાંક કિસ્સાઓ પણ પોસ્ટ કર્યા છે. જે જોઈને અને વાંચીને ઈમોશનલ થઈ જવાય છે.
શ્વેતા સિંહ કિર્તીએ સુશાંત સાથે થયેલા વોટ્સએપ ચૅટનો સ્ક્રિનશૉટ શેર કર્યો છે. સાથે જ તેના લગ્ન સમયની સુશાંતની તસવીરો અને તેના બાળપણની તસવીરો પણ પોસ્ટ કરી છે. બાળપણના દિવસો યાદ કરતા શ્વેતાએ લખ્યું છે કે, તેમના સહુથી મોટા ભાઈનું મૃત્યુ દોઢ વર્ષની ઉંમરમાં જ થઈ ગયું હતું અને એટલે જ તેમના પેરેન્ટસને એક છોકરો ઝંખતા હતા. શ્વેતાએ લખ્યું છે કે, બે વર્ષના સંકલ્પ, પુજા અને વ્રત પછી દિવાળીના દિવસે શ્વેતાનો જન્મ થયો અને તેને ઘરની લક્ષ્મી કહેવા લાગ્યા. બીજી બાજુ પરેન્ટસે પુજા અને સાધના ચાલુ જ રાખી અને એક વર્ષ પછી સુશાંતનો જન્મ થયો. સુશાંત બાળપણથી જ બહુ આકર્ષક હતો અને આંખો તેમજ સ્મિતથી બધાનું મન મોહી લેતો. બાળપણની યાદો તાજી કરતા તેણે કહ્યું હતું કે, કઈ રીતે ચાર વર્ષના સુશાંતનું ક્લાસમાં મન નહોતું લાગતું તો તે દોડીને તેના ક્લાસમાં આવી જતો હતો.
બીજી પોસ્ટમાં શ્વેતાએ 2007માં તેના લગ્ન થયા તયારે સુશાંત કઈ રીતે રડયો હતો તે વાત કરી છે. સાથે જ તેણે લખ્યું છે કે તે હંમેશા સુશાંતને અમેરિકા બોલાવતી હતી. પરંતુ તે બહુ વ્યસ્ત રહેતો હતો. એટલું જ નહીં શ્વેતાએ અફસોસ કર્યો છે કે, કદાચ તે પોતાના ભાઈને બચાવી શકી હોત. તેને આજે પણ લાગે છે કે, જો સવારે ઉઠશે તો સુશાંત સામે દેખાશે.
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 40 લોકોની પૂછપરછ કરી છે.