સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર લગાવ્યા છે આ ગંભીર આરોપો

29 July, 2020 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર લગાવ્યા છે આ ગંભીર આરોપો

સૂશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી

અભિનેતા સૂશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાનો કેસ દરરોજ એક નવા વળાંક પર આવીને ઉભો રહે છે. અભિનેતાના પિતા કે.કે.સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેટલાંક સેલેબ્ઝ પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે સાથે જ અભિનેતાની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર કેટલાંક ગંભીર આક્ષેપો મુક્યા છે. પિતાએ રિયા પર અભિનેતાના બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો, તેને લુંટવાનો, ગાંડો કરવા જેવા અનેક આરોપો લગાડયાં છે. એટલું જ નહીં સુશાંતની હાલત રિયાના સંપર્કમાં આવ્યા પછી ખરાબ થઈ હોવાનો આક્ષેપ પણ અભિનેતાના પિતાએ કર્યો છે.

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કરેલી ફરિયાદમાં તેમને રિયા ચક્રવર્તી પર આક્ષેપ કર્યા છે કે, 2019 પહેલા મારા પુત્ર સુશાંતને કોઈ માનસિક બીમારી ન હતી તો રિયાના સંપર્કમાં આવવાથી અચાનક શું થઈ ગયું? સુશાંત સિહને માનસિક રીતે શું મુશ્કેલી આવી ગઈ તેની તપાસ થવી જોઈએ.

જો માનસિક સારવાર ચાલી રહી હતી તો આ સંદર્ભમાં અમારી પાસેથી લેખિત કે મૌખિક પરવાનગી કેમ લેવામાં ન આવી? કારણ કે જ્યારે કોઈ માનસિક રીતે બીમાર થઈ જાય તો તેના તમામ અધિકાર તેના પરીવાર પાસે હોય છે. એટલે આ પણ તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના કેસમાં વળાંક: અભિનેતાના પિતાએ રિયા ચક્રવર્તી પર કર્યો કેસ

જે જે ડોક્ટરોએ રિયાના કહેવાથી મારા પુત્ર સુશાંત સિંહની સારવાર કરી છે, મને લાગે છે તે ડોક્ટર પણ રિયા સાથે ષડયંત્રમાં સામેલ હતા. એ વાતની પણ તપાસ થવી જોઈએ કે તેઓએ શું શું સારવાર કરી હતી? મારા પુત્રને કઈ કઈ દવા આપી હતી? સુશાંતને મેન્ટલ હૉસ્પિટલ મોકલવાની તૈયારી હતી. રિયાએ કારણ વગર તેની દવાઓ શરૂ કરી અને કહ્યું તેને ડેન્ગી થયો છે. બાદમાં દવાઓનો ઓવરડોઝ આપીને તેની માનસિક હાલતને ખરાબ કરવામાં આવી.

સુશાંતના પિતાએ ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે, સુશાંત સાથેની થોડા દિવસની જ મુલાકાતમાં રિયાએ સુશાંતનું પહેલું ઘર ભૂતપ્રેત હોવાનું કહીને બદલાવી દીધું. ત્યારબાદ જે ઘરમાં સુશાંત શિફ્ટ થયો તેમાં રિયાનો સમગ્ર પરિવાર સાથે રહેવા લાગ્યો અને સુશાંતનું માનસિક સંતુલન ખરાબ હોવાનું કહેવા લાગ્યા.

એફઆઈરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ લાઈન છોડીને મિત્ર મહેશ શેટ્ટી સાથે કેરળમાં ખેતી કરવા માંગતો હતો. પરંતુ રિયાએ આ વાતનો વિરોધ કર્યો હતો કે તું ક્યાય નહીં જાય. જો મારી વાત નહીં માને તો મીડિયામાં તારા મેડીકલ રિપોર્ટ આપી દઈશ કે તું પાગલ થઈ ગયો છે. જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ તેની વાત નથી માની રહ્યો અને તેનું બેન્ક બેલેન્સ પણ ઓછું થઈ ગયું છે. ત્યારે રિયાએ વિચાર્યું કે હવે સુશાંતનું ઘર તેના માટે કોઈ કામનું નથી. તો રિયાએ સુશાંતના ઘરેથી લેપટોપ, કેશ, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, સારવારના દસ્તાવેજો, પિન નંબર, પાસવર્ડ સાથે લઈને જતી રહી હતી. આ બાબતની પણ તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતની બહેને શૅર કરી અભિનેતા સાથેની બાળપણની યાદો, જુના ચૅટ

એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, રિયાએ સુશાંતને તેના પરિવારથી દુર કરી દીધો હતો. રિયાએ સુશાંતનો મોબાઇલ નંબર પણ બદલાવી દીધો. એટલું જ નહીં ઘરના નોકર પણ બદલી દીધા હતાં. ડિસેમ્બરમાં બહેનને મળવા અમેરિકા ગયો ત્યારે પણ દબાણ કરીને પાછો બોલાવી લીધો હતો. એટલું જ નહીં રિયાએ જ્યારે મીડિયામાં ગાંડો છે તેવું જાહેર કરવાની ધમકી આપ્યા બાદ સુશાંતે બહેનને બોલાવી હતી. પરંતુ બહેન અને તેના નાના બાળકોને પણ સુશાંતથી દુર કરી દીધા હતાં. પણ બહેને વિશ્વાસ આપ્યો હતો કે આવું કંઈ જ નહીં થાય. રિયા સુશાંતના તમામ દસ્તાવેજો અને પૈસા પોતાની પાસેચરાખિને મીડિયામાં જવાની ધમકી આપતી અને ઉશ્કેરતી કે સુશાંત આત્મહત્યા કરી લે. રિયા જ્યારે ઘર છોડીને ધમકી આપીને ગઈ ત્યારે પણ સુશાંતે તેને ફોન કર્યા હતાં. પણ સુશાંતનો નંબર તેણે બ્લોક કરી દીધો હતો.

સુશાંત સિંહ રાજપૂતના જીવનમાં રિયાના આગમન બાદ તેને ફિલ્મો મળવાની ઓછી થઈ ગઈ હતી. આ અંગે પણ પિતાએ તપાસની માંગણી કરી છે. એફઆઈઆરમાં કહ્યું છે કે, રિયા ફિલ્મની ઓફર્સ પણ એ જ શરતે હા કરાવતી હતી જેમાં તેને સુશાંતની સાથે હિરોઇનની તક મળે.

એવો પણ આરોપ છે કે, અભિનેતાના અકાઉન્ટમાં આશરે 17 કરોડ રૂપિયા હતાં. તેમાંથી રિયાએ છેલ્લા એક વર્ષમાં લગભગ 15 કરોડ રૂપિયા કઢાવી લેવામં આવ્યા છે. એટલું જ નહીં, જે જગ્યાએ આ નાણાં ટ્રાન્સફર થયા છે તેની સાથે સુશાંતને કોઈ જ લેવા-દેવા ન હતું. તેના તમામ ખાતાની તપાસ કરવામાં આવે. આ બેન્ક ખાતા/ક્રેડિટ કાર્ડથી કેટલા નાણાં રિયાએ તેના પરિવાર તથા સંબંધિઓ સાથે છેતરપિંડી અને ષડયંત્રથી ઠગ્યા છે?

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: કરણ જોહરની આ અઠવાડિયે પૂછપરછ થશે

સુશાંત સિંહ રાજપૂતે ત્રણ કંપનીઓ શરૂ કરી હતી. ત્રણ કંપનીઓમાંથી બેમાં એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડાયરેક્ટર હતી. એક કંપનીમાં રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી એડિશનલ ડાયરેક્ટર હતો. પહેલી પૂછપરછમાં રિયાએ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની માહિતી પોલીસને નહોતી આપી. ત્રણેય કંપનીઓમાં સુશાંતે પોતાની કમાણીનો મોટો હિસ્સો ઈન્વેસ્ટ કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસે રિયા સાથે સતત 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે સામે પક્ષે રિયાએ જ સામે ચાલીને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને આ કેસમાં CBI તપાસની માગ કરી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty