04 July, 2020 07:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપુત, અભિનેતાના જીજાજી વિશાલ કીર્તિ (તસવીર સૌજન્ય: ફેસબુક)
અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતાના મૃત્યુ બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી જોર પકડયું છે. ત્યારે સુશાંત સિંહ રાજપુતના જીજાજી વિશાલ કીર્તિએ 'નેપોમીટર' એપ લૉન્ચ કર્યું હતું. નેપોમીટર એપ બૉલીવુડમાં ચાલતા સગાવાદને સામે લડવા માટેની તાકાત આપશે એવો દાવો તેમણે કર્યો હતો.
સુશાંત સિંહ રાજપુતની બહેન શ્વેતા સિંહ કીર્તિના પતિ એટલે કે સુશાંતના જીજાજી વિશાલ કીર્તિના મતે, આ એપથી નેપોસ્ટિક તથા ઈન્ડિપેન્ડેન્ટ બૉલીવુડ ફિલ્મ તથા ટીવી શો અંગે સ્કોર તથા રેટિંગ જાણવામાં મદદ મળશે. હવે વિશાલે આ એપના મૂળ ઉદ્દેશ અંગે વાત કરી હતી. વિશાલના મતે, આ એપથી સુશાંતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પ્રોફિટનો કોઈ હેતુ નથી. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે, અમે હજી પણ દુઃખી છીએ. અમારું ફોકસ હવે એકબીજાનું ધ્યાન રાખવામાં છે. મેં મારા ભાઈનો નેપોમીટરનો આઈડિયા એટલા માટે શૅર કર્યો કે જેથી લોકો પોતાની પસંદ અંગે જણાવી શકે. આ સુશાંતને નાનકડી શ્રદ્ધાંજલિ છે. આ કોઈના ફાયદા માટે બનાવવામાં આવી નથી. મહેરબાની કરીને ધીરજ રાખો, આ અમારી પહેલી પ્રાથમિકતા નથી.
25 જૂને વિશાલ કીર્તિએ એપને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ નેપોમીટર મુખ્યત્વે પાંચ કૅટેગરી જેવી કે પ્રોડ્યૂસર, લીડ કાસ્ટ, સપોર્ટિંગ કાસ્ટ, ડિરેક્ટર અને રાઈટર પર ફોકસ કરશે. કૅટેગરી દ્વારા નક્કી કરવામાં આવશે કે ફિલ્મમાં કેટલાં લોકો સગાવાદથી આવ્યા છે. નેપોમીટરમાં આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ને 98 ટકા નેપોટિસ્ટિક રેટિંગ મળ્યું છે. આ ફિલ્મમાં ચાર કેટેગરીના લોકો સગાવાદથી આવ્યા છે. આ વિશે ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે, ડિરેક્ટરઃ મહેશ ભટ્ટ, પિતા (નાનાભાઈ ભટ્ટ, ડિરેક્ટર); લીડ કાસ્ટ: આલિયા ભટ્ટ, પિતાઃ મહેશ ભટ્ટ (ડિરેક્ટર, પ્રોડ્યૂસર), માતાઃ સોની રાઝદાન (એક્ટ્રેસ), સંજય દત્ત, પિતાઃ સુનીલ દત્ત (એક્ટર, પ્રોડ્યૂસર, રાજનેતા), માતાઃ નરગીસ (એક્ટ્રેસ), આદિત્ય રોય કપૂર, ભાઈ- સિદ્ધાર્થ રોય કપૂર (પ્રોડ્યૂસર), પૂજા ભટ્ટ, પિતાઃ મહેશ ભટ્ટ (ડિરેક્ટર, પ્રોડ્યૂસર); સપોર્ટિંગ કાસ્ટ; ગુલશન ગ્રોવરઃ સેલ્ફ મેડ; રાઈટર: મહેશ ભટ્ટ, પિતા (નાનાભાઈ ભટ્ટ, ડિરેક્ટર).
નેપોમીટર એપ શરૂ કરવાનો હેતુ બૉલીવુડમાં ચાલતા સગાવાદને હટાવવાનો પણ છે. નેપોમીટરના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે, રેટિંગ 40 ટકા સુધી રહેશે તો ફિલ્મને સારી માનવામાં આવશે, 70 ટકા સુધી રેટિંગ હશે તો ફિલ્મ જોવા લાયક તથા રેટિંગ 98 ટકા હશે તો ફિલ્મને નેપોટિસ્ટિક માનવામાં આવશે.