01 July, 2020 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપુત, અભિનેતાના જીજાજી વિશાલ કીર્તિ (તસવીર સૌજન્ય: ફેસબુક)
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાએ પરિવાર અને ફૅન્સને બહુ મોટો આંચકો આપ્યો છે. ટેલિવિઝનથી બૉલીવુડ સુધીની સફળ કારર્કિદી બનાવનાર પ્રતિભાશાળી અભિનેતા માત્ર 34 વર્ષની ઉંમરમાં આવુ પગલું ભરશે એવો ખ્યાલ કોઈને સ્વપનમાં પણ નહોતો. અભિનેતાના મૃત્યુથી બૉલીવુડના કેટલાક કલાકારો પણ ચોંકી ગયા છે. સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી જોર પકડયું છે. ત્યારે સુશાંત સિંહ રાજપુતના જીજાજી વિશાલ કીર્તિએ 'નેપોમીટર' લૉન્ચ કર્યું છે. તેમનો દાવો છે કે, આ નેપોમીટર બૉલીવુડમાં ચાલતા સગાવાદને સામે લડવા માટેની તાકાત આપશે.
વિશાલ કીર્તિ સુશાંત સિંહ રાજપુતની બહેન શ્વેતા સિંહ કીર્તિના પતિ છે. અભિનેતાના જીજાજી વિશાલ કીર્તિએ ટ્વીટરના માધ્યમથી 'નેપોમીટર' લૉન્ચ કર્યાની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, મારા ભાઈ મયુરેશ કૃષ્ણા દ્વારા સુશાંત સિંહ રાજપુતની યાદમાં બનાવવામાં આવ્યું. નેપોમીટર વિશે માહિતી આપતા તેમણે લખ્યું હતું કે, બૉલીવુડમાં સગાવાદ સામે માહિતી અને સૂચના સાથે લડો. અમે સગાવાદ અને ફિલ્મની ક્રૂના આધાર પર રેટિંગ પ્રદાન કરીશું. જો નેપોમીટર વધારે હશે તો આ જ સમય છે બૉલીવુડમાં ચાલી રહેલા સગાવાદનો બહિષ્કાર કરવાનો.
આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપુતના મૃત્યુની ખબર વીકિપીડિયા પર પહેલા જ અપડેટ થઈ ગઈ હતી?!
સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે, અભિનેતા ડિપ્રેશનમાં હતો અને તેણે આ પગલું ભર્યું હતું. આ કેસની અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે 28 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં અભિનેતાના પરિવારજનો, નજીકના સંબંધીઓ અને ઈન્ડસ્ટ્રીના લોકોનો પણ સમાવેશ છે.