20 August, 2020 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સારા અલી ખાન, સુશાંત સિંહ રાજપૂત
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ તેના જીવનની કેટલીક અંગત અને અજાણી વાતો ધીમે ધીમે બહાર આવી રહી છે. હવે અભિનેતાના નજીકના એક મિત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મિત્રએ દાવો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ 'કેદારનાથ'ની કૉ-સ્ટાર અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) સાથે રિલેશનશિપમાં હતો. એટલું જ નહીં સારા એ સુશાંત સાથે શા માટે બ્રેકઅપ કર્યું તેનો ખુલાસો પણ આ મિત્રએ સોશ્યલ મીડિયાની એક પોસ્ટ દ્વારા કર્યો છે.
2018માં આવેલી સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થઈ ત્યારે બન્ને જણ રિલેશનશિપમાં હોવાની અને તેમનું અફેર ચાલતું હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. પરંતુ બન્નેએ ક્યારેય આ અંગે ખુલસો નહોતો કર્યો. જોકે, હવે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સેમ્યુઅલ હોકીપે સુશાંતની લવ લાઇફ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. સેમ્યુલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, મને યાદ છે કે 'કેદારનાથ'ના પ્રમોશન વખતે સુશાંત અને સારા એકબીજાના પ્રેમમાં ડૂબેલા હતા. તેઓ એકદમ પ્રામાણિક અને માસુમ હતા. બંને એકબીજાનો ખૂબ આદર કરતા હતા. જેવું આજકાલના સંબંધોમાં ખાસ જોવા મળતું નથી. સારા જ્યારે સુશાંતની સાથે હતી ત્યારે તે સુશાંતના જીવન સાથે સંકળાયેલા તમામ લોકોનો આદર કરતી હતી. તે સુશાંતના મિત્રો, સ્ટાફ અને પરિવાર તમામનો આદર કરતી હતી. એ વિચારીને મને નવાઈ લાગે છે કે સુશાંતની ફિલ્મ 'સોનચિરૈયા' નિષ્ફળ જતાં મૂવી માફીયાઓના દબાણમાં તેણે સુશાંત સાથે બ્રેક અપ કરી લીધું હતું.
સેમ્યુઅલ હોકીપની આ પોસ્ટ પર સુશાંત સિંહ રાજપૂતની સિરિયલ 'પવિત્ર રિશ્તા'ના ડાયરેક્ટર અને અભિનેતાના અંગત મિત્રોમાંના એક કુશલ ઝવેરીએ કમેન્ટ કરી હતી કે, 'કોઈકે તો આ કહેવાની જરૂર હતી જ!' કુશલની આ કમેન્ટર પરથી ચોક્કસ કહી શકાય કે, સુશાંત અને સારાની રિલેશનશિપ નામમાત્રની નહોતી. કારણકે આ વિશે અભિનેતાના મિત્રો, પરિવારજનો અને સ્ટાફને ખબર હતી.