24 July, 2026 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલ અને રાજકુમાર સંતોષીની આગામી ઐતિહાસિક ફિલ્મ ‘બટવારા 1947’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી કોઈ પણ કટ વગર મંજૂરી મળી હોવાના રિપોર્ટ છે. ભારતના ભાગલા પર આધારિત આ ફિલ્મમાં લાહોરમાં રહેતા એક મુસ્લિમ પરિવાર અને પોતાનું પૈતૃક ઘર છોડવાનો ઇનકાર કરનારી એક હિન્દુ મહિલાની ભાવનાત્મક કથા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા લાંબા સમય બાદ ફરી એકસાથે સ્ક્રીન પર જોવા મળશે. હવે સેન્સર પ્રક્રિયા પૂર્ણ થતાં ફિલ્મ એના અગાઉથી નક્કી કરાયેલા સમયે ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
‘બટવારા 1947’ની વાર્તા એવા એક મુહાજિર પરિવારની છે જે ભાગલા બાદ લાહોરમાં આવીને એક ખાલી પડેલા હિન્દુ પરિવારના ઘરમાં રહેવા લાગે છે. જાણીતા નાટ્યકાર અસગર વજાહતના પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહૌર નઇ દેખ્યા, ઓ જમ્યાઇ નઇ’ પરથી પ્રેરિત આ ફિલ્મમાં એક વૃદ્ધ હિન્દુ મહિલાની કથા રજૂ કરવામાં આવી છે, જે પોતાનું પૈતૃક ઘર છોડવાનો ઇનકાર કરે છે. આ પછી તેની અને મુહાજિર પરિવાર વચ્ચે ઊભી થતી પરિસ્થિતિઓને ફિલ્મમાં સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવી છે. માનવઇતિહાસના સૌથી કરુણ અધ્યાયોમાંના એક એવા ભાગલાની પૃષ્ઠભૂમિમાં આ ફિલ્મ આશા, માનવતા અને બન્ને પરિવારો વચ્ચે બંધાતા સંબંધોની વાત કરે છે.