સુશાંત સિંહ રાજપુત અને પૂર્વ મેનેજરની આત્મહત્યાનો સૂરજ પંચોલી પર આક્ષેપ

04 July, 2020 06:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપુત અને પૂર્વ મેનેજરની આત્મહત્યાનો સૂરજ પંચોલી પર આક્ષેપ

આદિત્ય પંચોલી, સુશાંત સિંહ રાજપુત, સુરજ પંચોલી (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસમાં દરરોજ કોઈકને કોઈક નવી વાતો બહાર આવી રહી છે. દરરોજ એક નવા બૉલીવુડ સેલેબ્ઝનું કેસમાં નામ જોડાવવાની થિયરીઓ વહેતી થાય છે. આવી જ એક નવી થિયરી પ્રમાણે આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી પર સુશાંતની હત્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં સુશાંતની ભુતપૂર્વ મેનેજર દિશા સલિયનની આત્મહત્યા માટે પણ સૂરજ પંચોલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જોકે, આદિત્ય તથા સૂરજે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતાં.

કહેવામાં આવી રહ્યું છે કે, દિશા સલિયન અને સૂરજ પંચોલી રિલેશનશિપમાં હતાં. દિશા પ્રેગ્નન્ટ થઈ હતી પરંતુ સૂરજ લગ્ન કરવા તૈયાર નહોતો. આ વાત જ્યારે સુશાંતને ખબર પડી તો તેણે દિશાનો સાથ આપ્યો હતો અને સૂરજની વાત જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતને લઈ સૂરજ તથા સુશાંત વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ બદલાની ભાવનાથી સૂરજના પરિવારે સલમાન ખાન તથા અંડરવર્લ્ડ સાથે મળીને સુશાંતની હત્યા કરાવી દીધી અને પોતાના પાવરનો ઉપયોગ કરીને આત્મહત્યાનો રંગ આપવાનો પ્રયાસ કરે છે. આ થિયરીમાં દિશાના સુસાઈડને લઈને પણ સવાલ કરવામાં આવ્યા છે. દિશાએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કેમ કરી? કે પછી કોઈએ તેને ધક્કો માર્યો હતો?

વહેતી થયેલી આ થિયરીઓ વિશે ખુલાસો કરતા આદિત્ય પંચોલીએ કહ્યું હતું કે, હું કાલથી આ અંગે વાંચી રહ્યો છું. થોડો સમય પહેલાં નામ પુનીત વશિષ્ઠ નામના છોકરાએ પોતાના ફેસબુક પેજ પર કંઈક ગાંડપણ લખ્યું છે. એણે લખ્યું હતું, આ બધું એટલા માટે થયું, કારણ કે સુશાંતની મેનેજર દિશા સલિયન સૂરજ પંચોલીના બાળકની માતા બનવાની હતી. તેણે સૂરજ પંચોલીને કારણે સુસાઈડ કર્યું હતું. સુશાંત આ અંગે કંઈક કરવા માગતો હતો. આથી જ તેણે સુશાંતની હત્યા કરાવી દીધી. શું ગાંડપણ કાઢ્યું છે આ? સૂરજ પોતાના જીવનમાં પહેલેથી જ ઘણું બધું સહન કરી ચૂક્યો છે. તેને કારણ વગર જિયા ખાનના સુસાઈડ કેસમાં સંડોવવામાં આવ્યો હતો અને હવે આમાં. પછી લોકો પૂછે છે કે આખરે લોકો કેમ ડિપ્રેશનમાં જતા રહે છે અને સુસાઈડ કરે છે? જો આ રીતે દરેક બાબતમાં લાંબા સમય સુધી નામ લેવામાં આવે તો કોઈ પણ મજબુત વ્યક્તિ તૂટી જશે. સૂરજનું જીવન અને કરિયર બરબાદ થઈ ગયું છે. તે ઘણો જ હોનહાર, સરળ તથા સભ્ય યુવક છે.

એવો દાવો કરવામાં આવે છે કે, વર્ષ 2017માં એક પાર્ટીમાં સુશાંત સિંહ રાજપુત અને સૂરજ પંચોલી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સલમાન ખાને સુશાંતને ફોન કરીને ઘણું જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. આ ઘટના અંગે આદિત્ય પંચોલીએ કહ્યું હતું કે, આવી કોઈ ઘટના બની જ નહોતી. સૂરજે પણ આ બાબતે ખુલાસો આપ્યો હતો. દરેક બાબતને આ રીતે જોવી યોગ્ય નથી. કાલે જો સૂરજ ડિપ્રેશનમાં આવશે અને ભગવાન ના કરે એ કોઈ આકરું પગલું ભરે તો શું થશે? આના માટે કોણ જવાબદાર હશે? આ બહુ આઘાતજનક તથા દુઃખદ બાબત છે. વધુમાં આદિત્યે કહ્યું હતું કે, જો કંઈ પણ થાય અને સૂરજની ભૂલ હોય તો તેને જેલમાં નાખી દો. જોકે, પુરાવા ન હોવા છતાંય તેનું નામ કેમ દરેક વખતે ઉછાળવામાં આવે છે. જે જતાં રહે છે, તેના માટે લોકો પ્રાર્થના કરે છે પરંતુ જે જીવિત છે, તેને શાંતિથી તો રહેવા દો

સૂરજ પંચોલીએ ખુલાસો આપતા કહ્યું હતું, મને ખબર નથી કે સુશાંત સાથે મારા-મારીની વાત કેમ થઈ રહી છે. મારો તેની સાથે કોઈ ઝઘડો થયો નહોતો. મેં પહેલાં પણ આ વાત સ્પષ્ટ કરી હતી. બીજી વાત એ કે સલમાન ખાન મારા જીવનમાં કેમ આવશે? તેમની પાસે બીજું કોઈ કામ નથી? મને તો દિશા કોણ છે, તે પણ ખબર નથી. હું તેને ક્યારેય મળ્યો નથી. મને સુશાંતના નિધન બાદ દિશા અંગે માહિતી મળી હતી. બંનેએ જે કર્યું તેનાથી ખરાબ પણ લાગ્યું હતું. કોઈએ પોતાના ફેસબુક પેજ પર કંઈ પણ લખ્યું અને તેને ફિલ્મની સ્ક્રિપ્ટ બનાવીને વાઈરલ કરવાની શરૂઆત કરી.

સુશાંત સિંહ રાજપુત અને સુરજ પંચોલી વચ્ચે 2017માં થયેલા ઝઘડાને સૂરજે અફવા કહી હતી અને કહ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા સુશાંત અને મારી વચ્ચે ઝઘડો થયો હોવાની વાત ચર્ચાતી હતી. તે સમયે સુશાંત મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ એક ફાલતુ આર્ટિકલ આવ્યો છે કે સલમાન મારાથી નારાજ છે. તેણે મને આ અંગે એક સ્ટેટમેન્ટ આપવાનું પણ કહ્યું હતું. સુશાંત એવું એટલા માટે ઈચ્છતો હતો કે કારણ કે તે ન્યૂઝ પ્રમાણે, સુશાંતે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, હકીકત કંઈક અલગ હતી. અમે એક મિત્રના ઘરે ડિનર પર મળ્યાં હતાં. અમે મસ્તીમાં તસવીરો ક્લિક કરાવી હતી અને તેને ઝઘડાનું રૂપ આપવામાં આવ્યું હતું. અમારી પાસે એકબીજાના નંબર હતાં. તેણે મને તેની ફિલ્મના સ્ક્રીનિંગમાં બોલાવ્યો હતો. હું ‘રાબ્તા’ના સ્ક્રિનિંગમાં ગયો પણ હતો. અમે જીવનમાં ચારથી પાંચવાર મળ્યાં હતાં. હાલના સમયમાં હું તેના સંપર્કમાં નહોતો. ઈન્ડસ્ટ્રીમાં હોવાને કારણે એકબીજાને ઓળખતા હતાં.’

અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતાના મૃત્યુ બાદ બૉલીવુડમાં અનેક વિવાદોએ જોર પકડયું છે. અત્યારે આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput aditya pancholi sooraj pancholi