15 July, 2020 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનુ સુદ
કોરોના વાયરસ (COVID-19)ના મુશ્કેલ સમયમાં પ્રવાસી મજૂરો માટે ભગવાનનું રૂપ ધારણ કરીને આવેલા અભિનેતા સોનુ સુદ (Sonu Sood) આર્શિવાદ અને પ્રશંસાને પાત્ર છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ફસાઈ ગયેલા મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું બીડું ઝડપયું હતું અભિનેતાએ. તે માટે વિશેષ ટ્રેન અને બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આ મુશ્કેલ સમયના અનુભવને અભિનેતાએ પુસ્તકમાં સમાવવાનું નક્કી કર્યું છે. આ બાબતની માહિતી સોનુ સુદે પોતે આપી છે.
સમાચાર એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા સોનુ સુદે કહ્યું હતું કે, છેલલ્ સાડા ત્રણ મહિનાથી જાણે જીવન બદલાઈ ગયું હોય તેવા અનુભવ થઈ રહ્યાં છે. પ્રવાસી મજૂરો સાથે દરરોજ 16થી 18 કલાક રહેવાનો અને તેમના દુ:ખ વહેચવાનો અનુભવ જ કંઈક જુદો છે. તેઓ ઘરે જતા અને જ્યારે હું તેમને આવજો કહેતો ત્યારે મને બહુ ખુશી થતી. તેમના ચહેરા પરનું સ્મિત, આંખમાં હર્ષના આંસુ એ મારા જીવનનો ઉત્તમ અનુભવ છે. હું વચન આપુ છું કે જ્યાં સુધી દરેક પ્રવાસી મજૂર ઘરે નહીં પહોંચી જાય ત્યાં સુધી હું કામ કરતો રહીશ.
પુસ્તક વિશે સોનુ સુદએ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે હું આ જ કામ માટે શહેરમાં આવ્યો હતો અને આ જ મારો ઉદ્દેશ હતો. હું ભગવાનનો આભાર માનુ છું કે પ્રવાસી મજુરોની મદદ કરવા માટે તેમણે મારી પસંદગી કરી. મુંબઈ મારી જાન છે. પરંતુ હવે મને લાગે છે કે મારા જીવનનો એક ભાગ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોના ગામડાઓમાં પણ છે. હવે મને નવા મિત્રો મળ્યાં છે અને તેમની સાથે સારા સબંધો પણ બંધાયા છે. મેં નક્કી કર્યું છે કે, હું આ બધા અનુભવો અને વાર્તાઓને એક પુસ્તકનું રૂપ આપીશ. આ પુસ્તક પેન્ગવિન પ્રકાશિત કરશે.
તમને જણાવી દઈએ કે, પ્રવાસી મજૂરોની મદદ માટે સોનુ સુદે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો. તેમજ સોશ્યલ મીડિયા દ્વારા પણ મજૂરોની મદદ કરી હતી.