26 November, 2020 07:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ કેળકર
શરદ કેળકરને લાગે છે કે વર્તમાન સમયમાં નસીબ તેના પક્ષમાં છે. તેણે આ વર્ષે અનેક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. તેણે ‘ધ ફૅમિલી મૅન’, ‘રંગબાઝ ફિર સે’, ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર્સ’ અને ‘લક્ષ્મી’માં પોતાના પર્ફોર્મન્સથી લોકોને આકર્ષિત કર્યા હતા. પોતાના નસીબ વિશે શરદે કહ્યું હતું કે ‘મને લાગે છે કે નસીબ હાલમાં મારી તરફેણમાં છે. ઘણા લોકો એ વાતનો સ્વીકાર નહીં કરે, પરંતુ ઍક્ટર્સના જીવનમાં નસીબ ખૂબ અગત્યનું હોય છે. આપણું નસીબ દર શુક્રવારે બદલાય છે. મારું નસીબ બદલાઈ રહ્યું છે. હું ખુશ છું કે ઇન્ડસ્ટ્રીએ મારો સ્વીકાર કર્યો અને મારી ક્ષમતાને સાબિત કરવાની મને તક આપી.’
હીરોવાળા જ રોલ કરવાની લાલચ નથી એવું જણાવતાં શરદે કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો હું પોતાની જાતને કોઈ ચોક્કસ પ્રકારની કૅટેગરીમાં બાંધી રાખવામાં નથી માગતો. હીરોના રોલ કરવાની લાલચ નથી રાખતો. ટેલિવિઝનમાં હીરોનો રોલ કર્યો તો એવું જરૂરી નથી કે ફિલ્મોમાં પણ એવા જ રોલ હું કરું. સારો ઍક્ટર તો એ કહેવાય જે ચૅલેન્જિસ સ્વીકારે અને દરેક પ્રકારના રોલ પૂરા સમર્પણની સાથે ભજવે.’