12 July, 2020 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખરેખર બેકાર સાબિત થઈ રહ્યું છે. એક પછી એક કલાકારો દુનિયામાંથી વિદાય લઈ રહ્યાં છે. ઈરફાન ખાન, ઋષિ કપૂર, સુશાંત સિંજહ રાજપૂત અને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારો સિવાય પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ દુનિયામાંથી વિદાય લીધી છે. હવે પંજાબી અને હિન્દી ફિલ્મોનો જાણીતો ચહેરો અભિનેતા રંજન સહગલનું 36 વર્ષની વયે નિધન થયું છે. શરીરના અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધું હોવાથી અભિનેતાનું નિધન થયું છે.
રંજન સહગલ મૂળ પંજાબી હતા અને ચંદીગઢના રહેવાસી હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી થિયેટરનો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી મેળવી હતી. પછી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા માટે અને અભિનય કરવા મુંબઈ આવ્યા હતા. તેમણે ‘રિશ્તે સે બડી પ્રથા’, ‘તુમ દેના સાથ મેરા’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવી ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. રંજને 2016માં આવેલી રણદીપ હૂડા અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘સરબજીત’માં પણ કામ કર્યું હતું. ઉપરાંત ઘણી પંજાબી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. રંજને 2017ની પંજાબી ફિલ્મ 'માહી એનઆરઆઈ' અને 2014માં આવેલી ફિલ્મ 'યારાં દા કેચઅપ'માં પણ કામ કર્યું હતું. તેમણે તેણે 2014માં કોસ્ચ્યુમ ડિઝાઇનર નિવ્યા છાબરા સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત એક શોના સેટ પર થઈ હતી અને પછી તેમણે અન્ય એક શોમાં સાથે કામ પણ કર્યું હતું.
સુત્રોનું કહેવું છે કે, રંજન સહગલ લાંબા સમયથી બીમાર હતા અને તેમના શરીરના બધા જ અવયવોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. સોશ્યલ મીડિયા પર રંજનની ફૅન ફોલોઈંગ બહુ છે અને તેમના નિધનથી ચાહકો હતાશ થયા છે.