13 February, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાવેદ અખ્તર અને સલિમ ખાન
જાવેદ અખ્તરનું કહેવું છે કે રાજેશ ખન્નાની ‘હાથી મેરે સાથી’ દ્વારા મળેલા પૈસાથી હું અને સલીમ ખાન ધનવાન બની ગયા હતા. સલીમ-જાવેદની જોડીએ અનેક યાદગાર ફિલ્મો ‘ઝંજીર’, ‘ડૉન’, ‘દીવાર’ અને ‘શોલે’ બનાવી હતી. ‘હાથી મેરે સાથી’ માટે રાજેશ ખન્નાએ જ તેમને અપ્રોચ કર્યા હતા. એ ફિલ્મને લઈને જાવેદ અખ્તરે કહ્યું કે ‘ફિલ્મમેકર્સ ફિલ્મના સેકન્ડ હાફને લઈને અટવાઈ ગયા હતા. અમે ૧૯૬૯-’૭૦માં રાજેશ ખન્નાના ફ્રેન્ડ્સ બની ગયા હતા. તેમણે અમને જણાવ્યું કે તેઓ અમારી પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવવા માગે છે, કેમ કે તેમની ઇચ્છા છે કે આ ફિલ્મ બને.
આ પણ વાંચો: મારા સસરાને મારા ધર્મથી તકલીફ હતી : સલીમ ખાન
તેમણે જણાવ્યું કે તેમણે કાર્ટર રોડ પર સાડાચાર લાખનું મકાન ખરીદ્યું છે અને વધુ પૈસાની તેમને જરૂર છે. પ્રોડ્યુસરે તેમને અગાઉથી અઢી લાખ રૂપિયા આપ્યા છે, જે તેમને પાછા નથી આપવા. જોકે તેમને ડર હતો કે સેકન્ડ હાફ એટલો ખરાબ છે કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ બહાર ફેંકાઈ જશે. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી અમે મેકર્સ સામે બે શરત મૂકી હતી; એક, હીરો બદલાશે નહીં, બીજી, હાથી પણ કાયમ રહેશે, પરંતુ બીજું બધું બદલાઈ જશે. અમે જે લખ્યું એ તેમને ગમ્યું. સ્ક્રિપ્ટ લખતી વખતે તો અમે ખૂબ મજાક ઉડાડી હતી. એ વખતે રાજેશ ખન્નાએ અમને ખાતરી આપી હતી કે તમને સારી એવી રકમ ચૂકવવામાં આવશે. અમને બન્નેને પાંચ-પાંચ હજાર આપવામાં આવ્યા હતા, એથી અમે ધનવાન બનતા ગયા હતા.’