09 May, 2020 09:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નસીરુદ્દીન શાહનું કહેવું છે કે રિશી કપૂર હંમેશાંથી ફિલ્મોમાં વાઇબ્રન્ટ અને એનર્જેટિક રહ્યા છે. રિશી કપૂરની જેમ જ નસીરુદ્દીન પણ બિન્દાસ નિવેદનો આપે છે. 30 એપ્રિલે રિશી કપૂરનું અવસાન થયું હતું. રિશી કપૂર વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘રિશી કપૂરની યુવાનીની ફિલ્મો વિશે એટલું જરૂર કહીશ કે એ મને કદી પણ આકર્ષિત નથી કરી શકી. મને લાગે છે કે ‘બૉબી’ સિવાય મેં કોઈ પણ તેમની ફિલ્મો નથી જોઈ. ‘બૉબી’ જે લોકોને ગમી છે તેમના માટે ડિમ્પલ કાપડિયા પાસે ઘણુંબધું કરવાનું હતું. એથી તેમની કરીઅરની શરૂઆતના તબક્કા વિશે હું વધુ કમેન્ટ નહીં કરું. સાથે જ વધુ ઇમોશનલ ન થતાં હું એટલું જરૂર કહીશ કે તેઓ હંમેશાંથી ‘અમર અકબર ઍન્થની’ અને ‘કર્ઝ’માં વાઇબ્રન્ટ અને એનર્જેટિક લાગ્યા છે. વધતી ઉંમરની સાથે તેમને વધુ
મૅચ્યોર થતા અને એની સાથે રોલ ભજવવામાં રિસ્ક લેતા તેમને જોવા સારું લાગતું હતું. તેમને એવા રોલ મળતા હતા જેમાં તે પોતાની જાતને પણ આગળ લઈ જઈ શકતા હતા. મને ‘કપૂર ઍન્ડ સન્સ’માં તેઓ ખૂબ પસંદ પડ્યા હતા.’
ઇરફાનની ઍક્ટિંગની પ્રશંસા કરતાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘ઇરફાન મારા માટે એક અવર્ણનીય ટૅલન્ટ, અનોખો ઍક્ટર અને લોકોની કાળજી કરનાર વ્યક્તિ હતો. આ બન્ને ખૂબ જલદી અવસાન પામ્યા છે. એમાં પણ સૌથી મોટી ટ્રૅજેડી એ છે કે તેમની પાસે લાઇફમાં કરવા જેવું ઘણું હતું. કવિ રૉબર્ટ બર્ન્સે કહ્યું છે કે ઉંદર અને માણસના પ્લાન્સ હંમેશાં અવળા પડતા હોય છે.’