11 August, 2020 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત, શ્રુતિ મોદી
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મનિ લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં ઈડી અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના પરિવાર સહિત અભિનેતાની મેનેજર શ્રુતિ મોદી (Shruti Modi)ની પૂછપરછ કરી રહી છે. ઈડીની ટીમ મંગળવારે એટલે કે આજે 11 ઓગસ્ટના રોજ શ્રુતિ મોદીની પૂછપરછ કરી રહી છે. આ પહેલાં સાત અને દસ ઓગસ્ટે શ્રુતિની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ખુલાસો કર્યો છે કે, રિયા ચક્રવર્તી સુશાંતના ફાઇનાન્સને નિયંત્રિત કરતી હતી. બીજી બાજુ અભિનેતાના પિતા કે.કે.સિંહે વૉટ્સએપના ચૅટના કેટલાંક સ્ક્રિન શોટ શૅર કર્યા છે જેમાં તેમણે રિયા ચક્રવર્તી અને શ્રુતિ મોદીને દીકરા સાથે વાત કરાવી આપતો એક મેસેજ કર્યો હતો. જેનો બન્નેએ જવાબ નહોતો આપ્યો.
શ્રુતિ મોદી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લા એક વર્ષથી મેનેજર છે અને તે રિયા ચક્રવર્તીનું કામ પણ જોતી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ઈડી દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં શ્રુતિ મોદીએ કહ્યું હતું કે રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના દરેક ફાઇનાન્સને નિયંત્રિત કરતી હતી. જ્યારથી રિયા અભિનેતાની જિંદગીમાં આવી ત્યારથી બિઝનેસ અને ફાઇનાન્સને લગતા બધા જ મોટા અને આર્થિક નિર્ણયો રિયા જ લેતી હતી. એટલું જ નહીં ફેબ્રુઆરી 2020 બાદ અભિનેતાએ શ્રુતિનો સંપર્ક જ નથી કર્યો એમ પણ તેણે ઈડીને જણાવ્યું હતું.
આ પણ વાંચો: સુશાંતસિંહનો પગ વાંકો વળેલો હતો?
બીજી બાજુ અભિનેતાના પિતા કે.કે.સિંહે સુશાંત સાથે વાત કરાવવા માટે રિયા ચક્રવર્તી અને શ્રુતિ મોદીને વોટ્સએપ પર મેસેજ કર્યા હતાં. પણ બન્નેએ જવાબ નહોતો આપ્યો. કે કે સિંહે વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ રિલીઝ કર્યા છે.
29 નવેમ્બર 2020ના રોજ કે.કે.સિંહે રિયાને મેસેજ કરીને કહ્યું હતું કે, જ્યારે તને ખબર પડી ગઈ છે કે હું સુશાંતનો પિતા છું તો વાત કેમ ના કરી. આખરે વાત શું છે? ફ્રેન્ડ બનીને તેની દેખરેખ, સારવાર કરી રહી છે તો મારી પણ ફરજ બને છે કે મને સુશાંતની બધી જ ખબર હોય. આથી જ ફોન કરીને મને પણ તમામ માહિતી આપો.
આ જ દિવસે કે.કે.સિંહે શ્રુતિને મેસેજ કરીને કહ્યું હતું કે, ને ખ્યાલ છે કે સુશાંતના તમામ કામકાજ તથા તેને પણ તું જ જુએ છે. તે હવે કઈ સ્થિતિમાં છે, તે અંગે વાત કરવા ઈચ્છું છું. સુશાંત સાથે વાત થઈ હતી તો તેણે કહ્યું હતું કે તે બહુ જ મુશ્કેલીમાં છે. હવે તું જરા વિચાર કે એક પિતા માટે આ કેટલી ચિંતાનો વિષય હશે. આથી જ તારી સાથે વાત કરવા ઈચ્છું છું. હવે તું પણ વાત નહીં કરે તો હું મુંબઈ આવવા ઈચ્છું છું. ફ્લાઈટની ટિકિટ મોકલાવો.
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની અત્યારે તપાસ ચાલી રહી છે.