05 August, 2020 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેણુકા શહાણેનું કહેવું છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને પૉલિટિક્સ બનાવી રહ્યાં છે. સુશાંતે ૧૪ જૂને બાંદરાના તેના ઘરે સુસાઇડ કર્યું હતું. તેના સુસાઇડને લઈને કેસ ચાલી રહ્યો છે, પરંતુ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ બન્ને આ કેસની તપાસ કરી રહી છે. બિહાર પોલીસનું કહેવું છે કે આ કેસમાં મુંબઈ પોલીસ તેમને કોઈ મદદ નથી કરી રહી. ત્યાર બાદ અમૃતા ફડણવીસે ટ્વીટ કર્યું હતું કે ‘સુશાંતસિંહ રાજપૂતનો કેસ જે રીતે હૅન્ડલ કરવામાં આવી રહ્યો છે એ જોઈને લાગે છે કે મુંબઈએ એની માનવતા ખોઈ દીધી છે અને માસૂમ તથા સેલ્ફ-રિસ્પેક્ટ ધરાવતી વ્યક્તિ માટે મુંબઈ હવે સેફ નથી.’
આ વિશે જવાબ આપતાં રેણુકા શહાણેએ ટ્વીટ કર્યું હતું, ‘લાખો લોકોને રોજગારી અને ઘર પૂરાં પાડતા શહેર વિશે આ વાત કરવી ખોટી છે. તૂટીફૂટી છત અને બ્લૅન્કેટ વગર અને ઝેડ સિક્યૉરિટી વગર રહેતા લોકો માટે મુંબઈ એક આશા, સપના અને ચહેરા પર સ્માઇલ માટેનું કારણ છે. કોરોના વાઇરસના સમયમાં મુંબઈ પોલીસ આપણને સેફ રાખવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. અમૃતા ફડણવીસજી, મહેરબાની કરીને સુશાંતના મૃત્યુને પૉલિટિક્સ ન બનાવો અને મુંબઈ અને એના લોકો માટે પણ ખરાબ ન બોલો. તમારી પાસે જે માહિતી હોય એના દ્વારા તમે પોલીસની મદદ કરી શકો છો તેમ જ તમારી પાસે જે પાવર છે એનો પણ મુંબઈ પોલીસ ઉપયોગ કરી શકે છે.’