18 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન
૧૨ જૂને અમદાવાદમાં ઍર ઇન્ડિયાના પ્લેન-ક્રૅશની દુર્ઘટનાને કોઈ ભૂલી શકે નહીં. હવે આ દુર્ઘટના પછી રવીના ટંડને ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાનું પસંદ કર્યું હતું. તેણે આ ફ્લાઇટની તસવીરો શૅર કરીને દુર્ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને દુ:ખ વ્યક્ત કર્યું અને સાથે જ નવી શરૂઆત માટે ઉડાન ભરી.
આ પોસ્ટની કૅપ્શનમાં રવીના ટંડને લખ્યું કે `નવી શરૂઆત... બધી અડચણો છતાં ફરી ઊઠવું અને ઉડાન ભરવી... બધું ફરીથી શરૂ કરવું, વધુ શક્તિ તરફ નવો સંકલ્પ. માહોલ ગંભીર હતો અને ક્રૂના સભ્યોના સ્મિતમાં દુ:ખ દેખાતું હતું. મૌન મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સ મૌન સંવેદના અને સૂક્ષ્મ આત્મવિશ્વાસ સાથે જોડાયેલા હતા. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેવા પરિવારો પ્રત્યે સંવેદના. એક એવો ઘા જે ક્યારેય નહીં ભરાય. ભગવાન હંમેશાં તમારી મદદ કરે, નિર્ભયતા અને દૃઢ ઇચ્છાશક્તિ સાથે ફરીથી મજબૂત બનવા માટે. જય હિન્દ.’
સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટનો જવાબ આપતાં ઘણા યુઝર્સે રવીના પર ઍર ઇન્ડિયાને સમર્થન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સુરક્ષા પ્રોટોકૉલ વિશે પૂછવાને બદલે તમે પ્રમોશન માટે કેટલા પૈસા લો છો?