01 September, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐરાવત એ PETA અને સ્ટાર્સની મદદથી વિવિધ મંદિરોને ભેટ અપાયેલો બારમો યાંત્રિક હાથી છે.
રવીના ટંડન, રાશા થડાણી તેમ જ પ્રાણીપ્રેમી સંસ્થા પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)એ મૂડબિદ્રીના થાઉઝન્ડ પિલર્સ જૈન મંદિરને એક યાંત્રિક હાથી ‘ઐરાવત’ ભેટ આપ્યો છે. ઐરાવત એ PETA અને સ્ટાર્સની મદદથી વિવિધ મંદિરોને ભેટ અપાયેલો બારમો યાંત્રિક હાથી છે. આ યાંત્રિક હાથી વાસ્તવિક હાથીને બદલે ધાર્મિક વિધિઓમાં ઉપયોગમાં લેવાય છે જે જૈન ધર્મના અહિંસા સિદ્ધાંતને અનુરૂપ છે અને પ્રાણીકલ્યાણને પ્રોત્સાહન આપે છે. થાઉઝન્ડ પિલર્સ જૈન મંદિર વિશ્વનું પ્રથમ જૈન મંદિર છે જેણે આ ટેક્નૉલૉજિકલ અજાયબીનું સ્વાગત કર્યું છે. આ યાંત્રિક હાથીથી મંદિરની વિધિઓ સારી રીતે થઈ રહી છે જ્યારે જીવંત હાથીઓ તેમના જંગલમાં પરિવાર સાથે મુક્ત અને ખુશ રહે છે.
શું છે મંદિરની ખાસિયત?
કર્ણાટકના મૂડબિદ્રી સ્થિત થાઉઝન્ડ પિલર્સ જૈન મંદિર એની અદ્ભુત સ્થાપત્યકળા અને હજારો નાજુક કોતરણીવાળા સ્તંભ માટે પ્રખ્યાત છે જેને કારણે એનું નામ ‘થાઉઝન્ડ પિલર્સ’ પડ્યું છે. મૂડબિદ્રીને ‘જૈન કાશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં ૧૮ જૈન બસદીઓ (મંદિરો) છે, જેમાંથી થાઉઝન્ડ પિલર્સ મંદિર સૌથી પ્રખ્યાત છે.